નાગરિકતા સુધારા કાયદાથી દેશભરમાં હંગામો મચી ગયો છે. આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા સુધારો કાયદા સામે દેખાવો હિંસક બન્યા છે. આસામમાં વિરોધીઓએ અનેક જગ્યાએ તોડફોડ કરી હતી અને પશ્ચિમ બંગાળમાં બસોને આગ ચાંપી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે.
નાગરિકતા સુધારા કાયદાનો ઠેર-ઠેર વિરોધ
લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન
તે જ સમયે, વિદેશમાં પણ નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર, આસામના લોકોએ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા.
નાગરિકતા બિલ ધર્મને વહેંચનારું છે
વિરોધ કરનારાઓએ કહ્યું કે તે ધર્મને વહેંચનારું છે અને ધાર્મિક ભેદભાવ પર આધારિત છે. તેમણે કહ્યું કે અમે અમારા આસામના પરિવારો સાથે એક થઇને ઉભા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારો અવાજ સંભળાય.
પ.બંગાળમાં 5 રેલવેને સળગાવાઇ
પ.બંગાળમાં પણ નાગરિકતા બિલનો વિરોધ જોવા મળી રહ્યો છે. શનિવારે રાજ્યના મુર્શિદાબાદ જિલ્લાના લાલગોલા રેલવે સ્ટેશન પર 5 ખાલી ટ્રેનોમાં આગ લગાવી દેવાઇ. પ્રદર્શનકારીઓએ રાજ્યના અલગ-અલગ માર્ગ વ્યવહારને ખોરવ્યો અને રેલવે સેવાઓને પણ પ્રભાવિત કરી. નોંધનીય છે કે, આ બિલના વિરોધમાં પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે.
મોટા ભાગના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન
નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ સતત બીજા દિવસે શનિવારે પણ પ.બંગાળના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન થયા. ઘણી બસો અને એક રેલવે સ્ટેશન પાસે આગની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તરી 24 પરગના જિલ્લા તથા હાવડા (ગ્રામીણ)થી હિંસાના સમાચાર મળ્યા છે.