ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ સામે આવી રહ્યા છે એવામાં બીજી તરફ શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાએ ભયજનક રીતે માથું ઊંચક્યું છે.
ચિકનગુનિયા જેવી બીમારીમાં પણ હેલ્થ વિભાગની મેલી રમત
આ વર્ષે ગત વર્ષની તુલનામાં ચિકનગુનિયાના કેસમાં વૃદ્ધિ થઈ શકે : સૂત્રો
પોશ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ
શહેરમાં કોરોના તો આજે પણ બેકાબૂ છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા એન્ટીજન ટેસ્ટના પોઝિટિવ રિપોર્ટને કોરોનાના દર્દી તરીકે ગણતરીમાં લેવાય તો રોજના ૧૫૦ને બદલે ૫૦૦ કેસ સત્તાવાર રીતે નોંધાય તેમ છે, પરંતુ જે પ્રકારે કોરોનાના કેસમાં ઢાંકપિછોડો થાય છે તેવી જ રીતે ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળામાં પણ હેલ્થ વિભાગ મેલી રમત રમે છે. જોકે શહેરના બોડકદેવ, પાલડી, વાસણા, બોપલ અને ઘુમામાં ચિકનગુનિયાના કહેરની બાબતનો તો તંત્ર અંદરખાનેથી સ્વીકાર કરે છે.
કોરોનાના ભય વચ્ચે આ બીમારીઓથી લોકોમાં ફફડાટ
અમદાવાદમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાએ ભયજનક રીતે માથું ઊંચક્યું છે. આજે શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ખાનગી દવાખાનાં અને હોસ્પિટલો ઊભરાઈ રહી છે. કોરોનામાં પણ તાવનાં લક્ષણ હોઈ મચ્છરોના ત્રાસથી ફફડાટ અનુભવતા દર્દીના તાવ આવતાં જ કોરોનાના ખોફથી મોતિયા મરી જાય છે.
શું કરી રહ્યું છે તંત્ર ?
તાજેતરમાં મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ વગેરે ઉચ્ચ હોદ્દેદારોએ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વધતા જતા કેસ અંગે ખાસ બેઠક બોલાવી હતી, જેમાં હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વિવિધ સ્થળોએ મચ્છરના ઉપદ્રવનું ચેકિંગ હાથ ધરવાની તાકીદ કરાઈ હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને રોડ પરની ગંદકી હટાવવાની પણ કડક સૂચના અપાઈ હતી. ગઈ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ શાસકોએ ખાસ કરીને ચિકનગુનિયાના મામલે વિશેષ ટીમ ગઠન કરવાનો હેલ્થ વિભાગને આદેશ આપ્યો હતો.
તંત્રના ચોપડે પણ ચિકનગુનિયાના માત્ર ૧૦૭ કેસ નોંધાયા
જોકે હેલ્થ વિભાગનાં સૂત્રો કહે છે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં ચિકનગુનિયાના કેસમાં વૃદ્ધિ થઈ શકે છે. ખાસ કરીને બોડકદેવ, પાલડી, વાસણા, બોપલ અને ઘુમામાં ચિકનગુનિયાનો સવિશેષ ઉપદ્રવ છે. અલબત્ત મેલેરિયા વિભાગનો સ્ટાફ ઇન્ટર ડોમેસ્ટિક સર્વે અને ફોગિંગની કામગીરી રાબેતા મુજબ કરતો હોઈ વિશેષ ટીમનાં ગઠનની જરૂર લાગતી નથી. તંત્રના ચોપડે પણ ચિકનગુનિયાના માત્ર ૧૦૭ કેસ નોંધાયા છે. ઉપરાંત સપ્ટેમ્બરમાં ચિકનગુનિયાનો પિક પિરિયડ હોઈ આમાં ચિંતાજનક કશું નથી.