ગામ્બિયામાં કફ સીરપ પીવાથી થયેલ બાળકોનાં મૃત્યુ મામલામાં કેન્દ્ર સરકારે મેડન ફાર્મા કંપનીને ક્લીન ચીટ આપી છે. સરકારે રાજ્યસભામાં જવાબ આપતાં કહ્યું કે કંપનીનાં કફ સીરપમાં કોઇપણ પ્રકારની ભેળસેળ જોવા નથી મળી રહી.
ગામ્બિયામાં સીરપથી થયેલ બાળકોનાં મોત મુદે મોટો અપડેટ
ભારતીય કંપની મેડન ફાર્માને કેન્દ્ર સરકારે આપી ક્લિન ચીટ
કફ સીરપમાં કોઇપણ પ્રકારની ભેળસેળ નથી- કેન્દ્ર
દિલ્હી: ગામ્બિયામાં ભારતીય કંપની દ્વારા બનાવેલ કફ સીરપ પીવાથી 70 બાળકોનાં મૃત્યુ મુદે કેન્દ્ર સરકારે મોટી માહિતી આપી છે. કેન્દ્ર સરકારે આ કફસીરપ બનાવતી ભારતીય કંપની મેડન ફાર્માને ક્લીનચીટ આપી દીધેલ છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે કહ્યું કે મેડન ફાર્માનું સીરપ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું છે અને તેમાં કોઇપણ પ્રકારની ભેળસેળ નથી મળી આવી.
આફ્રિકામાં 70 બાળકોનું કફ સીરપથી થયું હતું મોત
મેડન ફાર્મા પર એ સમયે પ્રશ્નો ઉઠ્યાં હતાં જ્યારે આફ્રિકાનાં ગેમ્બિયામાં આ કંપનીની કફ સીરપ પીવાથી 70 બાળકોનું મોત થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદે મોટો ખુલાસો રાજ્યસભામાં કરેલ છે જેમાં મેડન ફાર્માને ક્લિનચીટ આપી દેવાઇ છે.
ઘટના બાદ ભારતમાં રચાઇ સ્પેશિયલ કમિટી
ગામ્બિયામાં થયેલ બાળકોનાં મોત બાદ કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય મંત્રાલયે ડો.વાઇ.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. ચાર સદસ્યોની આ સમિતિમાં આરોગ્ય સંબંધિત સ્થાઇ રાષ્ટ્રીય સમિતિનાં ઉપાધ્યક્ષ ડો.વાઇ.કે.ગુપ્તા, પુને સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન વિભાગનાં ડો. પ્રજ્ઞા યાદવ, નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રનાં મહામારી વિજ્ઞાન વિભાગનાં ડો. આરતી બહલ અને CDSCOનાં એ.કે.પ્રધાન સમાવિષ્ટ છે. ભારતમાં બનેલ 4 કફ સીરપથી ગામ્બિયામાં સંભવત: 66 જેટલા બાળકોનાં મોત મામલે WHO માટે ઘટનાનું રિપોર્ટ અને તપાસ માટે સરકારને 4 લોકોની વિશિષ્ટ કમિટી બનાવવા માટે જણાવાયું હતું.