સોમવારથી 7 દિવસ ગુજરાતને રોજના 11392 ઈન્જેક્શન મળશે
ગુજરાતને રોજના15562 ઈન્જેક્શન મળતા હતા તેમા ઘટાડો થશે
ગુજરાતને હવે રોજ 11392 ઈન્જેક્શન જ મળશે
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ કેસ દરરોજ વધી જ રહ્યા છે અને 12 હજારથી વધારે નવા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારે છે ત્યારે હવે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી રેમડેસિવિર ઈંજેક્શનમાં કાપ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે એક્ટિવ કેસના આધારે રેમડેસિવિર ફાળવશે. નોંધનીય છે કે ગઇકાલે જ ગુજરાત રાજ્યએ સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું આપ્યું છે કે રાજ્યમાં કેન્દ્ર તરફથી ડિમાન્ડ કરતાં ઓછું ઑક્સીજન આપવામાં આવી રહ્યું છે. ઑક્સીજન બાદ હવે રેમડેસિવિર મુદ્દે પણ ગુજરાતને ઝટકો લાગ્યો છે.
નવી ફોર્મ્યુલાથી રોજના ઇન્જેક્શનમાં 4170નો ઘટાડો
ગુજરાત રાજ્યને પહેલા જે 15562 રેમડેસિવિર ઈન્જેક્શન દરરોજ મળી રહ્યા હતા તેમાં ઘટાડો કરવાના આવ્યો છે. હવે સોમવારથી દરરોજ ગુજરાતને 11392 ઈન્જેક્શન આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી ફોર્મ્યુલાના કારણે રાજ્યને રોજ આપવામાં આવત ઈંજેક્શનમાં 4170નો ઘટાડો થયો છે. ગુજરાતને હવે સાત દિવસમાં 79,744 ઇન્જેક્શન જ મળશે.
ગુજરાતને 975 મેટ્રીક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો: સરકાર
કોરોનાની સ્થિતિ મુદ્દે ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. સોગંદનામામાં કેન્દ્ર તરફથી પુરતો ઓક્સિજન ન મળતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાતને 975 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન નથી મળતો ન હોવાની વાત ગુજરાત સરકારે કરી છે. સાથે સરકારે કહ્યું કે, ઓક્સિજનના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર થતી નથી. મહત્વનું છે કે, રાજ્યોમાં સરકારોની કામગીરીને લઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નજર રાખી રહી છે. ત્યારે ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ સુપ્રીમ કોર્ટમાં જાહેર કરેલા સોગંદનામામાં કેટલાક ખુલસા થયા છે. જેમાં ગુજરાત સરકારે કહ્યું કે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો લાગૂ કર્યા છે. સાથે હોસ્પિટલોમાં એડમિશન માટેની યુનિફોર્મ પોલિસી દાખલ કરી છે.
ગુજરાતમાં સાજા થનારા દર્દીઓ વધ્યા
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.તો કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર
રાજ્યમાં રિક્વરી રેટ 76.52 ટકાએ પહોંચ્યો છે તથા રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 58 હજાર 36ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 8 હજાર 154 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5 લાખ 3 હજાર 497 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 46 હજાર 385 એક્ટિવ કેસ છે, જેમાંથી 775 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 45 હજાર 610 દર્દીની હાલત સ્થિર છે.