પેટના રોગ ખૂબ જ ખરાબ હોય છે. તેના કારણે આપણાં આખા શરીર પર ખરાબ અસર થાય છે. એમાં પણ પેટમાં ચાંદા પડવા એટલે કે અલ્સરની સમસ્યા બહુ જ ખરાબ હોય છે. પેપ્ટિકનો અર્થ પાચનતંત્ર થાય છે. એટલે કે પાચનતંત્ર સંબંધિત ઘાને પેપ્ટિક અલ્સર ડિસીઝ કહે છે. વર્તમાન સમયમાં ઘણાં લોકોને એસિડિટી થતી હોય છે અને તેના કારણે લોકોને ક્યારેક ને ક્યારેક પેપ્ટિક અલ્સર થતું હોય છે. આ રોગમાં પેટમાં ઈજા થાય છે. ઘા ધીમે ધીમે વધી જાય છે, જેને કારણે આંતરડામાં છિદ્ર, બ્લીડિંગ થઈ શકે છે.
એસિડિટીની સમસ્યા કાયમ રહેતી હોય તો અવગણના ન કરતાં
પેપ્ટિક અલ્સરની સમસ્યાને ઘરે જ કેટલીક કાળજી રાખી દૂર કરી શકાય છે
ઘણીવખત અલ્સર ઘાતક પણ બની રહે છે
તમને જણાવી દઈએ કે, એચ પાયલોરી નામના બેક્ટેરિયા અલ્સરનું કારણ બને છે. આ બેક્ટેરિયા આપણાં આહારની સાથે આવે છે. દૂષિત આહારના માધ્યમથી શરીરમાં પહોંચતા આ બેક્ટેરિયાને કારણે અલ્સર થવાની શક્યતા વધી જાય છે.
બેક્ટેરિયાનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય
એચ-પાઇલરી બેક્ટેરિયા ખાન-પાન દ્વારા શરીર અંદર પ્રવેશે છે. કોઈપણ ફળ કે શાકભાજી સારી રીતે ધોયા બાદ જ ઉપયોગમાં લેવાં. જે ખાદ્ય-ચીજો શેકીને ખાવાની હોય તેને સરખી રીતે શેકીને ખાવી જોઈએ. હંમેશાં સ્વચ્છ પાણી પીવું જોઈએ. અલ્સરનું કારણ એચ-પાઇલોરી બેક્ટેરિયા છે એટલે તેનો નાશ કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
પેટનું અલ્સર
50 વર્ષની ઉંમર બાદ આ અલ્સર વધુ જોવા મળે છે. અવારનવાર વ્યક્તિને જમ્યા બાદ પેટમાં તીવ્ર પીડા થાય છે. કેટલીક વખત ઊલટીઓ પણ થતી હોય છે. દવાઓ અને કેમિકલને કારણે આ અલ્સર થાય છે. આર્થરાઇટિસ, ટીબી, માથાના દુખાવા માટે લેવાતા સ્ટીરોઇડને કારણે થાય છે. જ્યાં સુધી ખાલી પેટે ટેબ્લેટ લેવાનું ડોક્ટર ન કહે ત્યાં સુધી ન લેવી જોઈએ.
કઈ રીતે બચી શકાય?
ચિંતા, ઉતાવળિયાપણું અને મસાલેદાર વાનગીઓથી દૂર રહો, વધુ ચિંતા કરવાનું ટાળવું. ઉતાવળે જમવું ન જોઈએ. વધુ મસાલેદાર ભોજન ન જમવું. નિયમિત અને સંતુલિત દિનચર્યા અપનાવવી. પેટ ભરીને જમવાને બદલે દિવસમાં 4થી 6 વખત જમવું. વધુ ચરબીયુક્ત આહારના સેવનથી દૂર રહેવું.
જો પેટમાં અલ્સર હોય તો કાળી માટી જેવા રંગનો મળ એક જ વાર આવે છે. આ પરિસ્થિતિમાં દર્દીને એમ લાગતું હોય છે કે બીજી વખત એવું બન્યું નથી એટલે બધું બરાબર છે. જોકે, કેટલીક વખત કેટલીક દવાઓ કે ખાન-પાનને કારણે પણ આમ થઈ શકે છે, પરંતુ આમ થાય તો દવાઓ બંધ કરીને તપાસ કરાવવી.
ક્યાંય પણ જમો કે કંઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ એન્ટિબેક્ટેરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી.