નીતિન પટેલે કહ્યું હતું કે, ઢોર મારા પર આવી જતા મને ઢીંચણના ભાગમા સામાન્ય ઈજા થઇ હતી. જેથી મે કડીમા પ્રાથમિક સારવાર લીધી છે, કોંગ્રેસના ધારાસભ્યએ પણ સરકાર સામે રખડતાં ઢોરને લઈ આક્ષેપ કર્યા
નીતિન પટેલને ગાયે અડફેટે લેતાં ઢીંચાણના ભાગમા સામાન્ય ઈજા થઇ
આ રખડતી ગાય ન હતી, ગૌશાળામાં બાંધેલી ગાય બેન્ડબાજાના અવાજ થતાં ભડકી હતી: કરશન સોલંકી
રાજ્યની જનતા બાદ હવે રખડતા પશુના આતંકનો ભોગ નેતાઓ પણ બની રહ્યા છે, આજે મહેસાણાના કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા છે. જેને લઈ તેમણે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નીતિન પટેલને ગાયે અડફેટે લેતા ઢીંચણના ભાગે ઈજા થઈ હોઇ ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર લીધા બાદ નીતિન પટેલ અમદાવાદ આવવા રવાના થયા હતા. આ તરફ હવે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે કહ્યું હતું કે, ઢોર મારા પર આવી જતા મને ઢીંચણના ભાગમા સામાન્ય ઈજા થઇ હતી. જેથી મે કડીમા પ્રાથમિક સારવાર લીધી છે.
મહેસાણાના કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા છે. જોકે કડીમાં સારવાર કરાવ્યા બાદ તેઓ અમદાવાદ પહોંચ્યા છે. આ તરફ હવે હવે નીતિન પટેલને ગાયે અડફેટે લેતા કોંગ્રેસના ધારાસભ્યએ પણ સરકાર સામે રખડતાં ઢોરને લઈ આક્ષેપ કર્યા છે. તો સામે ભાજપના ધારાસભ્યએ તો એટલા સુધી કહી દીધું કે આ રખડતી ગાય નહોતી. શાકમાર્કેટ પાસે બાંધેલી ગાય હતી. તો હવે સવાલ એ થાય છે કે, જો ગાય બાંધેલી હતી તો નીતિનભાઈને અડફેટે કેવી રીતે લીધા ?
શું કહ્યું કડીના ભાજપના ધારાસભ્યએ ?
કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, આ રખડતી ગાય ન હતી. શાકમાર્કેટ પાસે ગૌશાળામાં બાંધેલી ગાય બેન્ડબાજાના અવાજ થતાં ભડકી ગઈ ગઈ હતી. જેથી સાહેબને (Nitin Patel) ને કોઈ ઇજા નથી થઈ ખાલી ધક્કો વાગ્યો છે. તમારી વાત સાચી કે કડી માં રખડતાં ઢોરોનો ત્રાસ છે પરંતુ આ રખડતી ગાય નહોતી. સરકાર આ મામલે હકારાત્મક છે અને આગામી દિવસોએ આનું ઝડપી નિવારણ પણ આવી જશે. તાજેતરમાં બનેલી ઘટના બાદ પણ સંબંધિત વ્યક્તિઓ પાસે દંડ ભરાવ્યા છે.
શું કહ્યું પાટણ કોંગ્રેસના ધારાસભ્યએ ?
આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર રખડતાં ઢોર મામલે આકરા પ્રહાર કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે સમજવું જોઈએ કે, જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા લોકો આવા પાવન પ્રસંગે રાષ્ટ્રધ્વજના કાર્યક્રમમાં જો ઢોરોના અડફેટે આવતા હોય તો ગુજરાતની બાકી જનતાનું શું થતું હશે તે સરકારે ગંભીરતા પૂર્વક વિચારવાનું છે. આ ખતરાની ઘંટી છે સરકારે આ મામલે ગંભીરતા દાખવવી જોઈએ. કિરીટ પટેલે ઉમેર્યું હતું કે, આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે નીતિન ભાઈ બચી ગયા. જો તેમને કઈ હા-ના થયું હોત તો કેવી પરિસ્થિતિ હોત ?
નીતિન પટેલના અકસ્માત પર પૂર્ણેશ મોદીએ શું કહ્યું ?
નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા બાદ હવે પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અકસ્માત એ અકસ્માત છે. રખડતા ઢોર બાબતે સારો કાયદો બનાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બધાએ સાવચેતી રાખવી પડે. રખડતા ઢોર બાબતે સરકાર જાગૃત છે. અમે આ મુદ્દે વોટબેંક કે તુષ્ટિકરણની નીતિવાળા નથી.