ભારતમાં નવી નાગરિકતા કાયદા સામે અલગ અલગ રાજ્યોમાં પૂરજોશમાં વિરોધ અને દેખાવો ચાલી રહ્યા છે. કમનસીબે આ દેખાવો અને કથળેલી સ્થિતિની સીધી અસર દેશના ટુરિઝમ એટલે કે પર્યટન ઉદ્યોગ ઉપર થઇ છે. ઓછમાં ઓછા 7 દેશોએ તેમના પ્રવાસીઓને આ અંગે ચેતવણી આપી છે.
તાજમહાલના પ્રવાસીઓની સંખ્યા 60% ઘટી
તાજમહાલની એન્ટ્રીથી વર્ષે 100 કરોડ રૂપિયાનો નફો થાય છે
ઈન્ટરનેટ બંધ થતા પરિસ્થિતિ વધુ ખરાબ
નોંધનીય છે કે દેશમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 25થી વધુ લોકોના મોત થયા છે. સત્તાવાર સંભવત આંકડા પ્રમાણે આશરે 2,00,000 સ્થાનિક અને આંતરાષ્ટ્રીય પ્રવાસીઓએ છેલ્લા 2 અઠવાડિયામાં વિશ્વના સૌથી પ્રખ્યાત સ્થળમાંના એક એવા મહાલની યાત્રા રદ કરી છે અથવા ટાળી દીધી છે.
60% પ્રવાસીઓનો ધસારો ઓછો
તાજમહાલના સ્પેશ્યલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના PI દિનેશ કુમારે મુલાકાતીઓના ડેટા પ્રમાણે જણાવ્યું હતું કે આ ડિસેમ્બરમાં ગયા વર્ષના ડિસેમ્બર કરતા આશરે 60% પ્રવાસીઓનો ધસારો ઓછો છે. ભારતીય એન્ડ વિદેશી પ્રવાસીઓ કંટ્રોલરૂમમાં ફોન કરીને સતત સુરક્ષા અંગે પૂછપરછ કરે છે. અમે તેમની સુરક્ષાની ખાતરી આપીએ છીએ તો પણ તેઓ આવવું ટાળે છે.
નોંધનીય છે કે તાજમહાલ ઉત્તરપ્રદેશમાં છે જ્યાં CAA NRCના મુદ્દે છેલ્લા 2 અઠવાડિયામાં સૌથી વધુ હિંસા અને મોત થયા છે.
ભારતમાં યાત્રા કરી રહેલા એક યુરોપિયન પ્રવાસીઓના ગ્રુપે કહ્યું હતું કે તેઓએ તેમની 20 દિવસની ભારતની મુલાકાત ટૂંકાવી દેવાનું નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સૌ નિવૃત્ત છે અને આરામદાયક પ્રવાસ કરવા ઈચ્છે છે પરંતુ અખબારોમાં આવતા અહેવાલોથી તેઓ ચિંતિત છે અને હવે તેમના આયોજન કરતા વહેલા ઘરે પાછા જવાનું વિચારી રહ્યા છે. આ નિવેદન આપનાર ડેવ મિલિકીન લંડનમાં નિવૃત બેન્કર છે.
તોતિંગ આવક થાય છે પ્રવાસીઓની એન્ટ્રી ફી વડે
આગ્રાનો તાજમહાલ વાર્ષિક 65 લાખ પ્રવાસીઓને આકર્ષે છે. તેની એન્ટ્રી ફીથી તોતિંગ 14 લાખ ડોલર એટલે કે 100 કરોડ રૂપિયા કેટલો નફો રળવામાં આવે છે. વિદેશી પ્રવાસી માટે તો એન્ટ્રી ફી 1100 રૂપિયા છે.
તાજમહાલની આસપાસની હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકોએ પોતાનો બળાપો કાઢતા જણાવ્યુ હતું કે તહેવારની સીઝનમાં મોટી સંખ્યામાં છેલ્લી મિનિટે બૂકિંગો કેન્સલ થયા છે. દેશનો GDP 4.5% સાથે 6 વર્ષના તળિયે છે એવી પરિસ્થિતિમાં આ પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ છે.
ઈન્ટરનેટ બંધ થતા પરિસ્થિતિ વધુ ખરાબ
આ ઉપરાંત હિંસા અને અશાંતિની પરિસ્થિતિને કાબૂમાં લેવા સત્તાધીશોએ આગ્રાનું મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. આગ્રા ટુરિઝમ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન જે 250 જેટલા ટૂર ઓપરેટર્સ, હોટલ્સ અને ગાઇડ્સ ધરાવે છે તેના પ્રેસિડેન્ટ સંદીપ અરોરાએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટ બ્લોક કરવાથી આગ્રામાં ટ્રાવેલ અને ટુરિઝમ ઉપર લગભગ 50-60% જેટલો ફટકો પડ્યો છે.
આ દેશોએ ભારતની મુલાકાત લેવાનું ટાળવાની સલાહ આપી
USA, બ્રિટન, રશિયા, ઇઝરાયેલ, સિંગાપોર, કેનેડા અને તાઇવાન જેવા દેશોએ તેમના નાગરિકોને ચેતવણી પાઠવતા ભારતની મુલાકાત લેવાનું ટાળવાનું કહ્યું છે અથવા જે જઈ રહ્યા છે તેમને વિશેષ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.
આસામ ટુરિઝમની પણ આ જ સ્થિતિ
આસામ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હેડ જયંત મલ્લ બરુઆહે આ મુદ્દે પોતાની ટિપ્પણી આપી છે. નોંધનીય છે કે આસામ વિશ્વમાં સૌથી વધુ એક શીંગડા વાળા ગેંડા ધરાવે છે. ડિસેમ્બરે મહિનામાં તેની આશરે 5,00,000 યાત્રીઓ વડે મુલાકાત લેવાય છે.
જયંત મલ્લ બરુઆહે આ મુદ્દે જણાવ્યું હતું કે ચાલી રહેલા પ્રદર્શનો અને વિદેશી સરકારોએ જાહેર કરેલી ચેતવણીઓના કારણે પ્રવાસીઓની સંખ્યા તોતિંગ 90% ઘટી ગઈ છે.