કેનેડાથી મુંબઇ આવેલી દીકરીને લેવા ગયેલા પિતા અને પુત્રનું મુંબઈથી પરત ફરતા સમયે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક ચારોટી પાસે અકસ્માત થતા મોત થયું હતું. જોકે આ અકસ્માતમાં દીકરી અને ડ્રાઇવરનો બચાવ થયો છે. બિલ્ડરની દીકરી કેનેડામાં સ્થાયી થઇ હતી, જોકે ત્યાં શિળાયો શરૂ થવાનો હોવાથી કંપનીએ 3 મહિના માટે ભારત આવવાની છૂટ આપી હતી. પરંતુ ભારત આવતા જ ગણતરીની કલાકો જ પિતા અને ભાઇ સાથે રહી શકી.
કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં બિલ્ડર અને દીકરાનું મોત
અકસ્માતમાં દીકરી અને ડ્રાઇવરનો બચાવ
ભારત આવેલી નીધી પિતા-ભાઈ સાથે ગણતરીના કલાકો જ રહી શકી
દાહોદના પીપલોદમાં તિરૂપતિનગરમાં રહેતા બિલ્ડર રાજીવ પાજીયાવાલા(52 વર્ષ)ની દીકરી નીધી કેનેડામાં ભણતી હતી. નીધી કેનેડાથી મુંબઇ આવી હતી ત્યારે તેને લેવા માટે રાજીવ પાજીયાવાલા અને તેમના દીકરા હર્ષલ(20 વર્ષ) રવિવારે રાત્રે નીકળ્યા હતા. રસ્તામાં તેઓ તેમની બહેનના ઘરે ગયા હતા. બાદમાં ત્યાંથી તેઓ કેબ લઇને મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી રાત્રે અઢી વાગ્યે તેમની દીકરીને લઇને સુરત આવી રહ્યા હતા.
આ દરમિયાન ચારોટી નજીક સવારે પાંચ વાગ્યે કેબના ડ્રાઇવરે આગળના ટેન્કર પાછળ અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં બિલ્ડર રાજીવ પાજીયાવાલા અને તેમના દીકરા હર્ષલ પાજીયાવાલાનું મોત થયું હતું. તો આ અકસ્માતમાં નીધી અને કેબના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના સમયે નીધી, હર્ષલ અને તેમના પિતા રાજીવ પાજીયાવાલા સુતા હતા.
ડ્રાઇવરે સ્થાનિક પોલીસને જણાવ્યું હતું કે, આગળના ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કર અચાનક થોભી ગયું હતું જેના કારણે કાર કંટ્રોલમાં ન રહી અને પાછળથી કાર ઠોકાઇ ગઇ હતી.