કોરોનાના કારણે ઘણા સમયથી દેશ વિદેશની એરપોર્ટ સેવાઓ બંધ હતી પણ હવે 100 ટકા હવાઈ સેવાઇઑ ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા એક વિશેષ સવલત એરપોર્ટ જતાં યાત્રિકોને આપવામાં આવી છે. હવે એસજી હાઈવે કર્ણાવતીથી એરપોર્ટ સુધીની બસ સેવાનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી દૈનિક રૂ.1 લાખની ખોટ થતી હોવાથી 2018માં આ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ હવે BRTS ઉડાનના નામે ફરીથી આ બસ સુવિધાને ચાલુ કરવામાં આવી છે.
મેયર કિરીટ પરમાર સહિત આગેવાનોએ કરી મુસાફરી
બસ સેવાનો પ્રારંભ કરતાં સમયે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડ કમિટિ ચેરમેન હિતેશ બારોટ સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તેમણે 2018 બાદ ફરી શરૂ થયેલી આ બસ સેવાની પહેલી મુસાફરી કરી હતી. ભાસ્કર ભટ્ટે ઝંડી બતાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ મેયર સહિતના હોદ્દેદારોએ બસમાં મુસાફરી પણ કરી હતી.
બસમાં શું હશે સુવિધા?
એરપોર્ટથી ઈસ્કોન સુધીની ટિકિટ 50 રૂપિયા
BRTSની આ બસ ફૂલ AC
બસમાં સુરક્ષાના હેતુસર CCTV કેમેરાની સગવડ
સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ દોડશે
19 કિલોમીટરના રૂટ માટે 15થી 30 મિનિટના સમયની બસ ફ્રિક્વન્સી
ચુકવણી: રોકડા, જનમિત્ર કાર્ડ, ડિજિટલ ત્રણેય રીતે કરી શકાશે
મોંઘીદાટ સવારીથી લોકોને રાહત મળશે
અમદાવાદ એરપોર્ટથી આ સુવિધા છેક ઈસ્કોન સુધી ચાલુ થવાથી હવે ટેક્સી અથવા રિક્ષા ભાડુંની મોંઘીદાટ સવારીથી લોકોને રાહત મળશે, ઘણા સમયથી બસ સેવા શરૂ કરવા માગણી હતી કારણ કે આ પહેલા રપોર્ટથી સામાન લઈ બહાર સુધી લોકો ચાલતા આવતા હતા અને બાદમાં પ્રાઈવેટ સાંધનની શોધખોળ કરતાં હતા જેથી પ્રવાસમાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. જે બાદ AMCના ઉચ્ચ અધિકારીઑ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં બસ સેવા ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કયા રૂટ પર દોડશે?
કર્ણાવતી ક્લબ ખાતેથી શરૂ થઈ આ બસ ઇસ્કોન, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, આઈઆઈએમ, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, સુધીના 132 ફૂટ રિંગ રોડ પર દોડી શાહીબાગ થઇ એરપોર્ટ સુધી પ્રસ્થાન કરશે.