દુનિયામાં સંક્રમિતોનો આંકડો ૩.૩૩ કરોડથી વધુ થઇ ગયો છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા ૨,૪૬,૩૩,૬૪૬થી વધુ થઇ ચૂકી છે. મૃતકોનો આંકડો ૧૦ લાખને પાર પહોંચી ચૂક્યો છે.
બ્રિટન સરકારે તમામ વિરોધ છતાં ઉત્તર ભાગ અને લંડનમાં ફરી વખત લોકડાઉન લગાવવાની વાત કરી છે. વડા પ્રધાન બોરિસ જોનસન પહેલાં જ કહી ચૂક્યા છે કે દેશમાં સંક્મણની બીજી લહેર ચાલી રહી છે.
બોરિસ જોનસન સરકાર નોર્ધન બ્રિટન અને લંડનમાં ફરી વખત લોકડાઉન લગાવવાનું વિચારી રહી છે. પીએમે થોડા દિવસો પહેલા સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં સંક્રમણની બીજી લહેર તેજ થઇ રહી છે. તેનાથી એ પરિસ્થિતિ ઊભી થઇ શકે છે જે મે અને જૂનમાં સામે આવી હતી.
આ લોકડાઉન બે અઠવાડિયાં સુધી હોઈ શકે છે
લોકડાઉન દરમિયાન તમામ પબ, બાર અને રેસ્ટોરન્ટ્સ સંપૂર્ણ રીતે બંધ રખાશે. લોકોને જાહેર સ્થળો પર મળવા પર પણ પ્રતિબંધ મુકાશે. જોકે આ દરમિયાન સ્કૂલ અને દુકાનો ખોલવાની મંજૂરી મળશે. શક્ય હશે ત્યાં સુધી લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ લોકડાઉન બે અઠવાડિયાં સુધી હશે, જરૂર પડશે તો તેને વધારવામાં આવશે.
રશિયામાં સંક્રમણની બીજી લહેર ઘાતક સાબિત થવા લાગી છે. મોસ્કોમાં રવિવારે ૧૬ લોકો મૃત્યુ પામ્યા હતા. અહીં મૃત્યુ પામનારાનો આંકડો ૫૧૮૦ થઇ ગયો હતો. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યુ કે અમે કેસ ઘટાડવામાં સફળતા મેળવી છે. ગંભીર દર્દીઓના મોત થયાં છે.
દુનિયાના ઘણા દેશોમાં કોરોના વેક્સિન પર રિસર્ચ અને ટ્રાયલ જારી છે, પરંતુ ચીને પોતાના નાગરિકોને અસુરક્ષિત વેક્સિન લગાવવાનું શરૂ કરી દીધું છે. આ વેક્સિન એટલે અસુરક્ષિત છે કેમ કે તેનાં સફળ ટ્રાયલના કોઇ પુરાવા મળ્યા નથી. આ વેક્સિન એક સરકારી કંપનીની છે. તેને સરકારી અધિકારી, કંપનીના સ્ટાફ, ટીચર્સ અને એ લોકો પર લગાવવામાં આવી રહી છે, જેઓ વિદેશ જવાના છે.