નિલકા નદીના પટમાં ટોટલ 30થી વધારે બુટલેગર સક્રિય હતા. જ્યાંથી બરવાળા અને ધંધુકાના 15 ગામમાં આ ભઠ્ઠીનો દારુ પહોંચાડાતો
લઠ્ઠાકાંડ મામલે VTVનું રિયાલિટી ચેક
VTV પહોંચ્યું ચોકડી ગામ
ચોકડી ગામથી મોતના સામાનની થઇ હતી ફેરાફેરી
બોટાદમાં લઠ્ઠાકાંડનો ઘટસ્ફોટ થયો હતો. આ લઠ્ઠાકાંડમાં કેટલાક ગામના લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. આ લઠ્ઠાકાંડમાં દિવસે ને દિવસે મૃત્યુનો આંક વધી રહ્યો છે, ત્યારે આજે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારોનો આંક 43 પહોંચ્યો છે. જેમાં સૌથા વધુ રોજિદ ગામના 11 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત ચદરવાના 3, અણિયાળીના 3, આકરુંના 3, ઉચડીના 2, ભીમનાથના 2, કુદડાના 2, ખરડનો 1, વહિયાના 2, સુંદરણીયાનો 1, પોલારપુરના 2, દેવગણાના 5, વેજલકાના 2, રાણપરીના 3, જાલીલાનો 1 મૃત્યુ પામ્યા છે.
18 દેશી દારુની ભઠ્ઠી ચાલતી હતી
હવે વાત લઠ્ઠાકાંડ બાદ કરવામાં આવતા ડોળની. એવું નથી કે દારૂના અડ્ડા અંગે પોલીસને જાણ નથી. પણ લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસ જાણે જાગી ગઈ હોય તેમ રાજ્યભરમાં દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા. ત્યારે VTV દેશી દારૂના એપિસેન્ટર નિલકા નદીના પટમાં પહોંચ્યું છે. અંકોલિયાના નિલકા નદીનો પટ બુટલેગરો માટે સ્વર્ગ સમાન છે. આ એજ ચોકડી ગામની બાજુમાં આવેલો વન વગડાનો વિસ્તાર છે. જ્યાંથી ઝેરી દારૂ આપવાની શરૂઆત થઈ.નિલકા નદીના પટમાં 30થી વધારે બુટલેગર સક્રિય છે.લઠ્ઠાકાંડ પહેલા કેનાલના કાંઠે 18 દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી . આ દારૂની ભઠ્ઠીમાંથી બરવાળા અને ધંધુકાના 15 ગામોમાં દારૂની ડિલિવરી થતી હતી. પિપલિયા,અંકોલિયા,રાણપરી,ચોકડી,આકરુ વગેરેમાં દારૂ પહોંચતો હતો.
ચોકડી ગામ નજીકથી દારૂના કેમિકલની હેરાફેરી થઈ
મહત્વનું છે કે બરવાળા તાલુકાનું ચોકડી ગામ દારૂનું એપિસેન્ટર છે. AMOS કંપનીમાંથી જયેશે પિતરાઇ ભાઇ સંજયને ઝેરી કેમિકલ આપ્યું હતું. નભોઇ ચોકડી પર કેમિકલના કેરબાની આપ-લે થઇ હતી. કેનાલના કાંઠે સંજય અને પિન્ટુએ બુટલેગર ગજુબેનને કેમિકલ આપ્યું હતું. અહીં થી જ અડધી રાત્રે ગજુબેને બીજા બુટલેગરોને કેમિકલ આપ્યું હતું.
સારા અધિકારીઓ હશે તો જ દારૂ બંધ થશે: ગામ લોકો
બોટાદના નભોઇ અને ચોકડી ગામના રહીશો સાથે પણ VTVએ વાત કરી તેમની આપવીતી જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગામજનોએ જણાવ્યું કે ગામમાં બુટલેગરોનો ત્રાસ હતો. દારૂ બનાવવા અને હેરાફેરીથી રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા. થોડા દિવસ પોલીસની કડક અમલવારીથી શાંતિ હતી.કેમિકલકાંડ માટે બુટલેગરોને રહીશોએ જવાબદાર ઠેરવ્યા હતા અને આક્રોશ ઠાલવતાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે એવી પણ માંગ કરી રહી કે આ વિસ્તારમાં પોલીસના સારા અધિકારી મૂકવામાં આવે કારણ કે ગામલોકોનું એવું માનવું છે કે સારા અધિકારીઑ હશે તો જ દારૂ બંધ થશે.