બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બા ગામમાં મહાદેવના મંદિરમાં દલિત સમાજની દિકરીઓને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો હતો. અન્ય સમાજની મહિલાઓ દ્વારા પ્રવેશ ન આપવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં 11 લોકો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મહત્વનું છે કે આ ગામમાં બે વર્ષ પૂર્વે જ મહાદેવ મંદિરમાં કોઈપણ સમાજની મહિલાઓ અને દીકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે હાલ વ્રત ચાલતા હોવાથી દલિત પરિવારની દિકરીઓ પૂજા કરવા માટે ગઈ હતી.
દલિત પરિવારની દિકરીઓ પૂજા કરવા ગઈ ત્યારે અન્ય સમાજની મહિલાઓ દ્વારા આ દિકરીઓને રોકવામાં આવી હતી. જેથી મામલો બિચક્યો હતો. જેથી દલિત સમાજે 11 લોકો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોધાવી છે.
જોકે તેમ છતાં વિવાદ ન શમ્યો અને મંદિરના પૂજારીએ મંદિરને તાળુ મારી દેતા બે દિવસથી આરતી પણ બંધ છે. હાલ તો જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી મંદિરમાં પૂજા અર્ચના નહીં કરવામાં આવે તેવો નિર્ણય લેવાયો છે. ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે આઝાદીના વર્ષો બાદ પણ કેમ નથી બદલાઈ માનસિકતા?