અમદાવાદના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝાના દીકરા રાજેશ ઝાનો નરોડા પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે.
કામિનીબેન ઝાના દીકરાનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો
રાજેશ ઝાએ આપઘાત કર્યા હોવાની આશંકા
રાજેશ ઝાને સટ્ટો રમવાની હતી આદત
અમદાવાદના મહિલા કોર્પોરેટરના પુત્રનો કેનાલમાંથી મૃતદેહ સાંપડતાં પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે. કુબેરનગર વોર્ડના કોર્પોરેટર કામિનીબેન ઝાના દીકરા રાજેશ ઝાનો નરોડા પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પોલસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સાંભળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
નરોડા પાસેની કેનાલમાંથી મળ્યો મૃતદેહ
અમદાવાદના કુબેરનગર વોર્ડના કોર્પોરેટર કામિનીબેન ઝાના દીકરાનો કેનાલમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનો અને કોર્પોરેટર આલમમાં કાળો કલ્પાંત સર્જાયો છે. નરોડા પાસેની કેનાલમાં રાજેશ ઝાનો મૃતદેહ તરતો હોવાની પોલીસને જાણ કરાતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવ્યા બાદ મોત અંગેનું કારણ જાણવા પોલીસ દ્વારા નિવેદનો નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ કરુંણાંતિકાની પ્રાથમિક વિગત અનુસાર મૃતક રાજેશને સટ્ટો રમવાની ખરાબ લત લાગી ગઈ હતી. જે બરબાદીના ખપ્પરમાં હોમાયા બાદ રાજેશ ઝા દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિવારને જાણ કરવાની ધમકી આપ્યાનુ લાગી આવતા આપઘાત કર્યાની શંકા
એટલું જ નહી સટ્ટામાં મોટા નુકસાન બાદ ઉઘરાણી અને પરિવારજનોને જાણ કરવાની પણ ધમકી મળી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તમામ કારણોથી કંટાળી જઇ રાજેશ ઝાએ મોત વ્હાલું કરી લીધાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે આ મામલે કોઇ ચોક્કસ કારણ બહાર ન આવતા પોલીસે મોત અંગે નોંધ કરી રાજેશના મોત પાછળનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.