મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ કયા પક્ષનો મુખ્યમંત્રી હશે તેને લઇને આજે ભાજપ અને શિવસેના વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે. એક તરફ શિવસેના દાવો કરી રહી છે કે ચૂંટણી પછી તેમના પક્ષનો મુખ્યમંત્રી હશે કારણ કે લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનના સમયે અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે આ નક્કી થઇ ગયું હતું.
જ્યારે ભાજપ સતત નિવેદન આપી રહ્યું છે કે મુખ્યમંત્રી તો ભાજપનો જ હશે. ભાજપ પ્રદેશ કાર્યકારિણી બેઠક પછી મુખ્યમંત્રી ફડણવીસેના નજીકના મંત્રી ગીરીશ મહાજ દ્વારા ભાજપનો જ મુખ્યમંત્રી હશે તેવા નિવેદન પર ઉધ્ધવ ઠાકરેએ કડી પ્રતિક્રિયા આપી છે.
શિવસેના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ કોઇનું પણ નામ લીધા વગર જણાવ્યું કે આ અંગે પહેલાં જ નક્કી થઇ ગયું છે અને હવે આ મુદ્દે કોઇએ પોતાની પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં હવે કોને મુખ્યમંત્રી બનાવવા તે માટે અટકળો તેજ થઈ છે. મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને આજે શિવસેના અને ભાજપ વચ્ચે મહત્વની બેઠક યોજાશે.
ભાજપ અને શિવસેનાની આજે મુંબઈમાં આ મુદ્દે બેઠક પણ યોજાશે. ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી બનશે તો અમારા પક્ષમાંથી બનશે. જ્યારે બીજી તરફ, શિવસેના તેમના પક્ષમાંથી મુખ્યમંત્રી પદની માગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ત્યારે હવે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની હોડ જામી છે. ત્યારે શિવસેના પોતાના પક્ષમાંથી સીએમ પદ માટે માગ કરી રહ્યું છે. જો કે પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓએ બાજી સંભાળતા જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે બેઠક બાદ નક્કી કરવામાં આવશે કે કયા પક્ષનો નેેતા મુખ્યમંત્રી બનશે.