આગામી 20 સપ્ટેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવશે, જે.પી નડ્ડા ભાજપના કાર્યકર્તાઓને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સંબોધશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવશે ગુજરાતના પ્રવાસે
પંચાયત અને પાલિકાના હોદ્દેદારોના સંમેલનમાં લેશે ભાગ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે સંમેલન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રાજ્યમાં તમામ રાજકીય પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે, પણ સૌથી વધુ મહેનત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
આગામી 20 સપ્ટેમ્બરને મંગળવારના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે.પી નડ્ડાનું રાજકોટ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે.પી.નડ્ડાનું સ્વાગત કરાશે. સમગ્ર પ્રધાનમંડળ પણ અધ્યક્ષના સ્વાગત માટે હાજર રહેશે.
રેસકોર્સ મેદાન ખાતે કાર્યકર્તાઓને સંબોધશે
જે બાદ જે.પી નડ્ડા ભાજપના કાર્યકર્તાઓને રેસકોર્સ મેદાન ખાતે સંબોધશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા સંમેલનમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે. ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મોરબી જવા રવાના થશે. મોરબી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ભવ્ય રોડ શૉ યોજાશે.
મોરબીમાં રોડ શૉનું આયોજન
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ જે રીતે ઉપરાઉપરી કાર્યક્રમો યોજી રહી છે તે જોતાં એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહીં.
બાયો ઇથેનોલ પ્લાન્ટનું અમિત શાહે કર્યું હતું ખાતમુહૂર્ત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગત બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતના હજીરા ખાતે KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટના નિર્માણ બાદ દૈનિક 2.50 હજાર લીટર પ્રતિદિન બાયો ઇથેનોલનું ઉત્પાદન થશે. ગુજરાતમાં 9 જિલ્લામાં ખેડૂતો મકાઈ વાવીને આજીવિકા મેળવે છે, KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટના નિર્માણ બાદ મકાઈના પાકના સારા ભાવ મળશે. જે મકાઈ ખાવાના કામમાં આવે છે તેનાથી પણ ઈથેનોલ પણ બનશે, આ ઉપરાંત ખરાબ મકાઈ જે આજે ફેંકી દેવામાં આવે છે. તે મકાઈ પણ ઈંધણ બનાવવામાં ઉપયોગમાં લેવાશે. વેસ્ટજ મકાઈ પ્લાન્ટમાં ઇંધણ બનાવીને દેશના અર્થતંત્રને ફાયદો થશે. ક્રિભકોનો પ્લાન્ટ ખેડૂતોના જીવનમાં નવું પ્રકાશનું કિરણ બનશે. અનેક રીતે ખેડૂતોને ફાયદો કરાવનારો પ્રોજેક્ટ ક્રિભકોએ શરૂ કર્યો છે
આ પ્લાન્ટથી સીધો ફાયદો ખેડૂતોને થશે. વેસ્ટજ મકાઈ પ્લાન્ટમાં ઇંધણ બનાવીને દેશના અર્થતંત્રને ફાયદો થશે. ક્રિભકોનો પ્લાન્ટ ખેડૂતોના જીવનમાં નવું પ્રકાશનું કિરણ બનશે. પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ હવે ઈથેનોલ બનશે તેવું અમિત શાહે જણાવ્યું હતું.