હાર્દિક પટેલની ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી બાદ કેમ કોઈ મોટા નેતાએ ન આપ્યું નિવેદન?
ભાજપમાં હાર્દિકનું સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલની ગેરહાજરી અને નેતાઓનું મૌન ખટક્યું
સ્ટેજ પર માત્ર 1-2 મિનિટનો કાર્યક્રમ થયો
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવર રીતે જોડાઈ ગયા છે, કોંગ્રેસ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક ભારતીય જનતા પાર્ટીમાં ખિસકોલી બનીને કામ કરવાની વાત કરી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં જેવુ જોઈએ એવું 'હાર્દિક' સ્વાગત પટેલ નેતાનું ન થયું તેવી રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે.
CM ભૂપેન્દ્ર પટેલની ગેરહાજરી
સ્વાભાવિકપણે જ્યારે રાજ્યનો કોઈ મોટો નેતા પક્ષપલટો કરીને ભાજપમાં આવે ત્યારે પાર્ટી દ્વારા મોટું આયોજન કરવામાં આવે છે, પાર્ટીના નેતાઓ દ્વારા મોટા મોટા નિવેદનો કરવામાં આવે છે, પણ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા ત્યારે અને તેની પહેલા ભાજપના કોઈ જ મોટા નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યા નહીં, આટલું જ નહીં હાર્દિક પટેલ PMની હાજરીમાં પાર્ટીમાં જોડાશે તેવી વાતો થઈ હતી પરંતુ તેમના પાર્ટી પ્રવેશ સમયે તો CM પણ હાજર ન રહ્યા. રાજ્યના મુખ્યમંત્રી પોતે પાટીદાર છે અને પાટીદાર યુવા નેતા ભાજપમાં જોડાયા તેમ છતાં તેઓ ગેરહાજર રહ્યા તે વાત પણ ઘણા બધાને ખટકી છે.
એક જ મિનિટમાં સ્ટેજ પરથી જતાં રહ્યા CR પાટીલ-નીતિન પટેલ
ગુજરાતનાં દિગ્ગજ યુવા ચહેરાને ભાજપમાં પ્રવેશ અપાવવા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને નીતિન પટેલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કાર્યાલયના મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા હાર્દિક પટેલ રોડ શો કરીને કાર્યાલય પહોંચ્યા ત્યારે સ્ટેજ પર તેમણે 10 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. તે પછી પાટીલ ત્યાં આવ્યા અને હાર્દિકને ખેસ પહેરાવ્યો, નીતિનભાઈએ ટોપી પહેરાવી અને ત્યાંથી રવાના થઈ ગયા. સ્ટેજ પર માઇકની વ્યવસ્થા હતી, બધાને લાગ્યું કે હાર્દિકના સ્વાગત માટે બે શબ્દો કહેવામાં આવશે પણ એવું કઈ જ થયું નહીં. CR પાટીલના ગયા પછી રાજ્યના અન્ય સ્થાનિક નેતાઓની હાજરીમાં હાર્દિકે પત્રકાર પરિષદ કરી હતી.
કોઈ નેતાએ ટ્વિટ ન કર્યા, નિવેદન ન આપ્યા
હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ મુદ્દે ભાજપના દરેક દિગ્ગજ નેતાઓ એકદમ ચૂપ છે, અંદરખાને એવી ચર્ચા છે કે હાઇકમાન્ડના આદેશના કારણે કોઈ એક શબ્દ પણ બોલી રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓને હાર્દિક પટેલના પાર્ટી પ્રવેશથી નારાજગી છે પરંતુ પાર્ટીના નિર્ણય આગળ પોતે કડવા ઘૂંટ પી રહ્યા છે. આટલું જ નહીં સોશ્યલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા નેતાઓ પણ હાર્દિક પટેલ મુદ્દે બોલતા ખચકાઈ રહ્યા છે.
નીતિન પટેલે કહ્યું ભગવાનની ઈચ્છા પ્રમાણે થતું હોય છે
હાર્દિક પટેલનું સ્વાગત કરવા માટે ભાજપ કાર્યાલય આવેલા નીતિન પટેલને જ્યારે મીડિયાએ સવાલો કર્યા ત્યારે તેમણે હાર્દિક પટેલનું સ્વાગત છે તેવા કોઈ નિવેદન ન આપ્યા, માત્ર એટલું જ કહ્યું કે ભગવાનની ઈચ્છા પ્રમાણે બધુ થતું હોય છે.
ભારતીય જનતા પાર્ટીમાં 2012થી અત્યાર સુધીમાં બે ચાર કે 10 નહીં, 60 તો મોટા નેતાઓ જોડાયા છે. જેમાંથી રાદડિયા, પૂનમ માડમ, નરહરિ અમીન, લીલાધર વાઘેલા, દેવુસિંહ ચૌહાણ, પરબત પટેલ, કુંવરજી બાવળિયા જેવા અનેક નેતાઓ ધારાસભ્ય, સાંસદ, મંત્રી અને દિલ્હીની કેબિનેટ સુધી પહોંચી ગયા છે. એવામાં બની શકે કે ભારતીય જનતા પાર્ટીમાં આયાતી નેતાઓ સામે અંદરોઅંદર રોષ પણ ઊભો થાય.