ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ફરી પ્રતિષ્ઠાનો જંગ બની છે. ભાજપે રાજ્યસભાના ત્રીજા ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને જાહેર કર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.
કિરીટસિંહ રાણા લિંબડીના પૂર્વ ધારાસભ્ય છે. ભાજપે કિરીટસિંહને મેન્ડેટ આપ્યો છે. ભાજપ અને કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઇ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ દ્વારા ત્રીજા ઉમેદવાર ઉભો કરતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીડા આજે તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ બંને નેતાઓની દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભાની ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના નિવાસ સ્થાનથી મનસુખ માંડવિયા સાઇકલ લઇને સચિવાલય પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતાઓ અને ધારાસભ્યો પણ તેમની આ સાઇકલ રેલીમાં જોડાયા હતા. મનસુખ માંડવિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ''આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 36 બેઠકો પર ભાજપની જીત થશે.''
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે જ્ઞાતિવાદી સમીકરણો માંડી પાટીદાર નેતાઓ પુરૂષોત્તમ રુપાલા અને મનસુખ માંડવીયા બંનેને રિપીટ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે છેલ્લી 3 ટર્મથી ગુજરાતમાંથી રાજ્યસભામાં જનારા નાણામંત્રી અરુણ જેટલી હવે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે.