તૌકતે વાવાઝોડામાં સરકારની સહાય પર કૃષિ પ્રધાને પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના આક્ષેપો પર કૃષિમંત્રી ફળદુનું નિવેદન કર્યુ હતું અને તેમણે જણાવ્યુ હતું કે સરકાર હંમેશાથી ખેડૂતોની પડખે ઉભી રહી છે. કોંગ્રેસના મોટા આગેવાનોએ પીઢતા ગુમાવી છે. અને કોંગ્રેસે ખેડુતોની સહાયને મજાક ગણાવી છે. રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોને વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું છે. આ વખતની પરિસ્થિતિ ખુબજ વિકટ હતી. 669 જેટલી ટીમોએ સર્વેની કામગીરી કરી છે.
મુખ્યમંત્રીએ મોટું મન રાખી સહાય જાહેર કરીઃ કૃષિ મંત્રી
મુખ્યમંત્રીના નિર્ણયને હું આવકારુ છું. આ વખતે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે. ખેડૂતની સહાયમાં બજેટ પર ભારણ પડે તો પડે પણ ખેડૂતના જુસ્સામાં ક્યાંય ખામી ન આવવી જોઈએ. બાગાયતી ખેતીમાં 10-15 વર્ષની મહેનત હોય છે. બાગાયતી ખેતીમાં વૃક્ષએ ખેડૂતની રોજગારી છે. સરકારે એક લાખ બાગાયતી ખેતીને સહાય જાહેર કરી છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને સરકાર સહાય કરી રહી છે. ઉનાળું પાક માટે 20 હજાર પ્રતિ હેક્ટર સહાય જાહેર કરી છે. રાજ્યમાં હવે માત્ર 13 ટકા જેટલી સર્વેની કામગીરી બાકી છે. જયારે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે.
પરેશ ધાનાણીએ ગણાવ્યું પડીકું
તૌકતે વાવાઝોડા બાદ રાહત પેકેજ અંગે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાહત પેકેજને પડીકુ ગણાવી દીધું છે. તો રાહત પેકેજને દિલીપ સંઘાણીએ ઉત્તમ અને જલ્દી સહાય ગણાવી છે. દિલીપ સંઘાણીએ 1982ના વાવાઝોડાની યાદ કરાવી છે.
દિલીપ સંઘાણીએ કહ્યું કે, 1982માં એક મહિના સુધી વીજ પુરવઠો શરૂ થઈ શક્યો નહોતો. કોંગ્રેસ પાસે માત્ર વિરોધ કરવાનો જ વિકલ્પ હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે. કુદરતી આફતમાં તમામે સાથે મળીને કામ કરવુ જોઇએ. મેં પરેશ ધાનાણીને સાથે મળી કામ કરવા ફોન કર્યો હતો. પરેશ ભાઇનો સહકાર ન મળ્યો હોવાની વાત પણ સંઘાણીએ કરી છે.
વાવાઝોડાના કારણે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નારાજ થયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ.300 કરોડથી વધુનું નુકસાન થયુ છે. ખેડૂતોને એક વિઘા દીઠ રૂ.15,000થી વધુનું નુકસાન થયું છે. ત્યારે તેની સામે સરકારે હેકટર દીઠ રૂ.13,500ની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમને જણાવ્યુ કે ડાંગરના પાકમાં વિઘા દીઠ રૂ.15,000નો ખર્ચ થાય છે. મહત્વપૂર્ણ છે કે નજીવી સહાયની જાહેરાત સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર દ્વારા 500 કરોડના પેકેજની જાહેરાત
ગાંધીનગરમાં ગઈકાલે કોર ગ્રૂપની બેઠક સમાપ્ત થઈ હતી. જેમાં તૌકતે વાવાઝોડાના કારણે ખેતીમાં નુકસાનના વળતર અંગે ચર્ચા કરાઈ હતી. જે બાદ મુખ્યમંત્રીએ કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 86 તાલુકાઓના અંદાજીત 2 લાખ હેક્ટરમાં ઉનાળુ અને બાગાયતી પાકમાં નુકસાનનું સામે આવ્યું છે.
બાગાયતી પાક માટે 1 લાખની સહાય
મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે નુકસાન માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરાઈ રહ્યું છે. જેમાં ફળ એટલે બાગાયતના વૃક્ષો નાશ પામ્યા છે. તેમને હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કરાશે. 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રથમ વખત લાખ રૂપિયા પ્રતિ-હેક્ટર આપી રહ્યા છે. જે બાગાયતી ખેતીમાં ઝાડ ઉભા છે પરંતુ ફળો ખરી જવાથી નુકસાન થયું છે. તેમને 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અપાશે. આમાં પણ 2 હેક્ટર સુધી સહાય મળશે. આ સાથે સહાય માટે 33 ટકાથી વધુના નુકસાનની પણ વાત સહાયમાં છે.
ઉનાળા પાકમાં નુકસાનનું વળતર
મુખ્યમંત્રીએ કહ્યું કે, બાગાયતી પાકોની સાથે ઉનાળા પાકમાં પણ જે ખેડૂતને નુકસાન થયું છે. તેમને પણ સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી પછી બાજરી, મગ, અડદ, તલ સહિતના ઉનાળું પાકમાં તૌકતે વાવાઝોડાના કારણે જેમને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે. તેમને પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.
કેવી રીતે ખેડૂતોને આપશે રૂપિયા
મુખ્યમંત્રીએ કહ્યું કે, આવતીકાલ સુધીમાં નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે. જે બાદ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં સરકાર સીધી રકમ જમા કરી દેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કૃષિ સહાય પેકજ 500 કરોડ રૂપિયાનું હશે. જેનો બોજો કેન્દ્ર અને રાજ્ય પર પડશે. સર્વેની માહિતી મળ્યા બાદ આશરે 1 અઠવાડિયામાં તમામ ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ જશે.