પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાની જાતને રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ માની રહ્યાં છે.
મમતા બેનરજીએ પીએમ મોદી પર કર્યાં પ્રહારો
ખેજૂરી,હલ્દિયામાં પ્રચાર વખતે ભાજપને આપ્યો આકરો જવાબ
નરેન્દ્ર મોદી મોટા મોટા વાયદાઓ કરે છે, હું આ કરીશ, હું તે કરીશ
બેનરજીએ કહ્યું એક દિવસ મોદી ભારતનું નામ બદલીને પોતાને નામે કરી લેશે. ખેજૂરીમાં એક જનસભાને સંબોધિત કરતા બેનરજીએ કહ્યું કે શું મહાન નેતા છે. ક્યારેય ક્યારેક તે પોતાની જાતને ટાગોર માને છે તો ક્યારેક વિવેકાનંદ. હવે તેમણે પોતાને નામે સ્ટેડિયમ પણ કરી નાખ્યું. કોઈક દિવસ દેશનું નામ પણ બદલી નાખશે.
પીએમ મોદીને લીધા નિશાન પર, આકરા ચાબખા માર્યાં
ચૂંટણી સભાને સંબોધિત કરતા બેનરજીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી મોટા મોટા વાયદાઓ કરે છે, હું આ કરીશ, હું તે કરીશ. તમે છ-સાત વર્ષથી સત્તા પર છો. તમે શું આપ્યું. તમે નોટબંધી કરી છે. તમે દેશની ઈકોનોમીને બર્બાદ કરી નાખી. તમે બેરોજગારી વધારી દીધી. તમે પ્રવાસી શ્રમિકોને મારી નાખ્યાં. તમે તોફાનો કરાવી મૂક્યા.
મમતાએ કહ્યું કે ભાજપ બેટી બચાઓ, બેટી પઢાવો કહે છે પરંતુ તેણે કોઈને પણ પણ એક પૈસો પણ આપ્યો નથી. અમે દરેક મહિને કન્યાશ્રી ફંડ આપીએ છીએ. ભાજપને જલન થઈ રહી છે કારણ કે બંગાળ આજે આગળ ચાલી રહ્યું છે.
ભાજપ દુનિયાની સૌથી મોટી ખંડણીખોર પાર્ટી-મમતા
મમતા બેનરજીએ ભાજપને દુનિયાની સૌથી મોટી ખંડણીખોર પાર્ટી પણ ગણાવી દીધી. પૂર્વી મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતાએ ભાજપ પર રમખાણોનું કાવતરુ કરવાનો, લોકોની હત્યા કરવાનો તથા દલિત છોકરીઓની પજવણી કરવાનો આરોપ લગાવ્યો.મમતાએ કહ્યું કે ભાજપ દુનિયાની સૌથી મોટી તોડબાજ પાર્ટી છે. જુઓ પીએમ કેર ફંડ હેઠળ તેણે કેટલા પૈસા એકઠા કર્યાં. જો બંગાળના લોકો શાંતિ અને કોમી રમખાણ મુક્ત રાજ્ય ઈચ્છતા હોય તો ટીએમસી એકમાત્ર વિકલ્પ છે.