પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારના રોજ થયેલી હિંસાને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપના બધા નેતા રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઇને મુખ્યમંત્રી મમતા બેનરજી અને તૃણમુલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.
ભાજપના નેતાઓએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લોકશાહી ખતરામાં છે, તેઓ મમતા બેનરજીની યોજનાઓને કામયાબ થવા નહી દે. ભાજપ હિંસાના વિરોધમાં આજરોજ સવારે જંતર-મંતર પર ધરણાં પ્રદર્શન કરશે. તો બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજધાની કોલકાતામાં પદયાત્રા કરશે.
જ્યારે ભાજપના નેતાઓએ રોડ શોમાં થયેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓએ એક પ્રતિનિધિમંડળે મંગળવારની મોડી રાત્રે ચૂંટણી પંચની મુલાકાત લીધી હતી. રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણ, કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી, અનિલ બલૂની, જીવીએલ નરસિમ્હા રાવ સહિતના નેતાઓએ ચૂંટણી પંચની મુલાકાત લીધી.
ચૂંટણી પંચની મુલાકાત બાદ નકવીએ પત્રકારોને જણાવ્યું કે અમે આયોગને માગ કરી છે કે રાજ્યમાં અરાજક તત્વો તેમજ હિસ્ટ્રીશીટરોની તુરંત ધરપકડ કરવામાં આવે. કેન્દ્રીય દળ ચૂંટણી વિસ્તારોમાં ફલેગ માર્ચ કરે. જ્યારે રક્ષા પ્રધાને માગ કરી કે આયોગ મમતા બેનરજી પર પ્રચાર પર પ્રતિબંધ લાદે.
જ્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસાવાળી જગ્યાની મુલાકાત લીધી. મમતા બેનરજીએ કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં ચાલીને જગ્યાનું નિરીક્ષણ કર્યું. આ કોલેજ નજીક અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે હિંસા થઇ હતી.