ગુજરાતમાં પાક વીમા મુદ્દે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
ધાંગધ્રાના 30 ખેડૂતોએ વીમા કંપની સામે કરી હતી અરજી
ખેડૂતોએ વીમા કંપનીને મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો અપાશે
ખેડૂતોના પક્ષમાં એક ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે. વર્ષ 2019ના રવી પાકના નુકસાનમાં વીમા મામલે હાઈકોર્ટે સૌથી મહત્વનો ચૂકાદો આપ્યો છે. એક સાથે 30 ખેડૂતો હાઈકોર્ટના દરવાજે પહોંચ્યા હતા. 2019ના શીયાળુ પાકને માવઠાને કારણે નુકસાન થયું હતું. વીમા કંપનીએ જૂદા જૂદા બહાના કાઢીને ખેડૂતોના ક્લેઈમને નકાર્યો હતો. જે બાદ ધાંગધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઈકોર્ટમાં જતા વીમા કંપનીને ફટકાર પાડી છે. હાઈકોર્ટે વીમા કંપનીને કહ્યું, ખેડૂતોએ નુકસાનની મોડી જાણ કરી તેનો મતલબ એવો નથી કે તેમને વીમો નહી આપો. ખેડૂતોએ વીમા કંપનીને મોડી જાણ કરી હોવા છતાં પૂરો વીમો આપવો પડશે.
મહત્વનું છે કે, રાજ્યમાં ખેડૂતો પાક વીમો લીધા બાદ સમયસર પ્રિમિયમ પણ ચૂકવણી કરી છે. પરંતુ માવઠા કે, બીજા કારણોસર પાક નુકસાની થતા ખેડૂતો વીમો પકાવવા અરજી કરે છે. આવા સમયે વીમા કંપનીઓ જવાબ આપતી નથી. તો આવા જ કેસમાં ધ્રાંગધ્રાના ખેડૂતો હાઈકોર્ટ પહોંચ્યા હતા. જેમાં રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજના સર્વેના આધારે ખેડૂતોને વળતર આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના 2019ના રવી પાક કપાસ અને એરંડાના ખેડૂતો માટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. રાજ્ય સરકારના સર્વેમાં પાકને 33% નુકસાન પણ પાકવીમા કંપનીએ વીમો જ ન આપ્યો. વીમા કંપનીએ ચાલાકીથી અરજીઓ રદ કરી હતી અને કેટલાકને માત્ર 1% વળતર આપ્યું હતું. તો હવે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સ કંપની ખેડૂતોને વળતર ચૂકવે તેવો હાઈકોર્ટનો આદેશ થયો છે.
કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ ગૃહમાં પૂછ્યો હતો સવાલ
21 માર્ચના દિવસે ગુજરાત વિધાનસભામાં ખેડૂતોને ચૂકવાયેલા વીમાને લઈને કોંગ્રેસના MLA ભીખા જોષીએ પ્રશ્ન પૂછ્યો હતો. જે મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપતાં જણાવ્યુ કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 1600 કરોડનું પાક વીમો ચૂકવણી કરી છે. માત્ર 6 કંપનીઓને 1600 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. તો બીજી તરફ વીમા કંપનીઓએ ખેડૂતોને 1600 કરોડની સામે માત્ર 149 કરોડ જ ચૂકવ્યા છે. 2019-20 રવી-ઉનાળુ પાકમાં ખેડૂતોને કંપનીઓએ આ રકમની ચૂકવણી કરી છે.
તો વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકવીમા મામલે નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના હિતમાં નવી પાકવીમા નીતિ લાવી છે. ધારાસભ્યો તરફથી વીમા કંપનીઓ વળતર ના આપતી હોવાની ફરિયાદો મળી હતી. આથી સરકારે ખેડૂતોને નુકસાન પેટે વળતર આપવાનું નક્કી કર્યું છે.