જે તે વખતે ચોટીલાના તત્કાલીન માલતદારે બામણબોરની 730 એકર સરકારી જમીન પ્રાઈવેટ માલિકીની ઠેરવી દીધી હતી
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશનો મોટો ચુકાદો
બામણબોરની 730 એકર જમીન ફરી સરકાર હસ્તગત કરી
બામણબોરની આ જમીન તત્કાલીન માલતદારે ખાનગી માલિકીની ઠેરવી આચર્યું હતું કૌભાંડ
ગુજરાતના સૌથી મોટા જમીન કૌભાંડનું કોકળું જે ઘણા વર્ષોથી ગુંચવાયેલુ હતું તે આખરે આજે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યું છે. બામણબોરમાં 730 એકર જમીન જેની લગભગ 400 કરોડ જેટલી કિમત આંકી શકાય તે જમીનને કલેકટર દ્વારા ચુકાદો આપી સરકાર હસ્તગત કરી નાખવામાં આવી છે.
શું છે સમગ્ર જમીન કૌભાંડનો મામલો?
રાજકોટના બામણબોરની વિવાદિત 730 એકર જમીન એટલે કે 74થી 75 ગુંઠા જમીન જે તે વખતે તત્કાલીન મામલતદારે ખાનગી ઠેરવી બારોબાર પધારી દીધી હતી. મહત્વનું છે કે આ જમીન ALC હસ્તગત હતી પણ ખોટા ઠરાવનો દુરુપયોગ કરી તત્કાલિન મામલતદારે તેણે ખાનગી કરવાનો કારસો રચ્યો હતો. જે બાદ જમીન કૌભાંડ લાંબી કાનૂની લડાઈમાં સપડાઈ ગયું હતું. હાલમાં આ જમીન વેચાણની 17 જેટલી હક્ક નોંધને રિવિઝનમાં લઈ તેણે રદ્દ કરી નાખવામાં આવતા ફરી જમીન સરકાર હસ્તગત થઈ છે.
કેવી રીતે બહાર આવ્યું હતું કૌભાંડ?
બામણબોરના સર્વે નંબર 47ની 2 ખાતેદારોની આ જમીન ટોચ મર્ચાદા વખતે ફાજલ પડી હતી. 1981માં ગામના દફ્તરે સરકારી જમીનની નોંધ પણ પાડી દેવામાં આવી હતી. 400 કરોડની આ 730 એકર જમીન પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતી હતી પણ તે બાદ આ જમીન 2018માં રાજકોટમાં જિલ્લા પડતાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને ચડ્યું હતું. બામણબોર રાજકોટ જિલ્લામાં આવી જતા તેના જમીન દસ્તાવેજોની પૂરતી માહિતી મોકલવામાં આવી હતી જેની ચકાસણી દરમિયાન આ જમીન પર ગેરરીતિ વાળા વ્યવહારો મામલતદારને નજરે ચડયા હતા. જે અંગે રાજકોટ કલેકટરને જાણ કરવામાં આવી હતી. ખોટું થયાનું ચેક થતાં ચોટીલાના તત્કાલિન મામલતદારનો હુકમને રિવિઝનમાં લેવામાં આવ્યો હતો.
17 જેટલા લોકોને જમીન પધરાવી દેવાઈ
આપને એ પણ જણાવી દઈએ કે આ જમીન અંગેના હુકમો ચોટીલાના તત્કાલિન નાયબ મામલતદાર જે એલ ધાડવીએ કર્યા હતા. આ સિવાય પણ અન્ય એક બામબોરની જમીન પણ આ અધિકારીનું નામ ખૂલ્યું હતું. ખેત જમીન ટોચ મર્યાદા કાયદા 1960માં એકટ - 2/1974થી કરેલા સુધારા બાદ બામણબોર, જીવાપર ગામની કુલ 380.20 એકર જમીન તત્કાલીન મામલતદાર અને કૃષિપંચ ચોટીલાએ ગત તા.30/11/1988ના હુકમથી ફાજલ જાહેર કરી હતી.સુપ્રિમકોર્ટ આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય કર્યો હોવા છતા આદેશોનું ખોટું અર્થઘટન કરી જમીન આપવાનો ગેરકાયદે હુકમ કરવામાં આવ્યો હતો. સરકારી જમીન વેંચી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર સી.જે.પંડ્યા, ચોટીલાના ડે.કલેકટર વી.ઝેડ. ચૌહાણ અને ચોટીલાના ઈન્ચાર્જ મામલતદાર જે.એલ. ઘાડવીને બરતરફ કરીને તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.આ જમીનનું 17 જેટલા આસામીઓને વેચાણ કરી પધરાવી દેવામાં આવી હતી.
પણ હવે પણ 730 એકર જમીન અંતે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા ચુકાદો આપી સરકાર હસ્તક કરી દેવામાં આવી છે.