રાજકોટના વકીલ મહેન્દ્ર ફળદુના આપઘાત કેસમાં સાતેય આરોપી બિલ્ડર હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ થઈ શકે છે જાહેર
આરોપીઓ વિદેશ ભાગી ગયાની પોલીસને આશંકા
ઘટનાના 7 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર
રાજકોટના એડવોકેટ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં રાજકોટ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા મનસુખ સુરેજા, અતુલ મહેતા, અમિત ચૌહાણ તેમજ ઓઝોત તસ્કનીના ડાયરેક્ટર જયેશ કાંતીલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતીલાલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ તમામ આરોપીઓ વિદેશ નાશી ગયાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. પરિવાર સાથે આરોપીઓ વિદેશ નાશી ગયા હોય પોલીસ હવે આ પ્રકરણમાં લુકઆઉટ નોટીસ જાહેર કરનાર છે.
આરોપીઓ વિદેશ ભાગી ગયાની પોલીસને આશંકા
પોલીસ દ્વારા આ મામલે ઈમિગ્રેશન વિભાગને જાણ કરી લૂક આઉટ નોટીસ જાહેર કરાશે. જેથી ગુજરાત કે દેશના અન્ય કોઈ એરપોર્ટ ઉપરથી આરોપીઓ ક્યા દેશમાં ગયા તેની જાણ રાજકોટ પોલીસને થશે બીજી તરફ જો આરોપીઓ વિદેશ નાશી ગયા હશે તો તેને પકડવા માટે પોલીસ વિદેશ મંત્રાલયની પણ મદદ માંગી શકે છે.
7 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર
ઉલ્લેખનીય છે કે, ગત 2 જી માર્ચના રોજ રાજકોના જાણીતા ઉદ્યોગપતિ અને વકીલ મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગ્રુપ સહિત 7 ઈસમો સામે ગંભીર આરોપો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. જો કે આ બનાવને 7 દિવસ વીતી ગયા હોવા છતા આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના એક અગ્રણીએ આત્મહત્યા કરી લીધી છે. જેમાં અનેક મોટા ગજાના બિલ્ડરો સહિતના મોટા માથાઓના નામ છે ત્યારે પોલીસ આ લોકો સુધી હજુ પણ નથી પહોંચી શકી.ત્યારે હાલ તો લોકોમાં પણ પોલીસની કામગીરીને લઇને સવાલો ઉઠી રહ્યા છે