ઇન સર્વિસ ડોક્ટરોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અલ્ટિમેટમ આપ્યા પછી હજુ સુધી કોઇ ઉકેલ ન આવતાં હવે 25મી જૂનથી તમામ ડોક્ટરોએ હડતાળ પર જવાની તૈયારી કરી છે.
હડતાળ પરત ખેંચવા માટે સરકારના પ્રયાસ
ઇન સર્વિસ ડોક્ટર એસો.ની આરોગ્યમંત્રી સાથે બેઠક
બાંહેધરી બાદ પણ ડોક્ટરોના પ્રશ્નોનું નિરાકરણ નહીં
રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતાં ઇન સર્વિસ ડોક્ટરોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અલ્ટિમેટમ આપ્યા પછી હજુ સુધી કોઇ ઉકેલ ન આવતાં હવે 25મી જૂનથી તમામ ડોક્ટરોએ હડતાળ પર જવાની તૈયારી કરી છે. તેમજ ડોક્ટરોએ આ હડતાળના કારણે જે કોઇ પરિસ્થિતિ ઊભી થાય તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ત્યારે ડોક્ટરોની આ હળતાળને લઈ આજે આરોગ્યમંત્રી નીતિન પટેલ ડોક્ટરો સાથે બેઠક યોજી શકે છે.
બાંહેધરી બાદ પણ નથી આવ્યું પ્રશ્નોનું નિરાકરણ
રાજ્યમાં સૌથી પ્રથમ રેસીડેન્ટ ત્યાર બાદ ઇન્ટર્ન અને મેડિકલ અધ્યાપક સંગઠને પોતાના પ્રશ્નો માટે હડતાળ ઉતર્યા હતા જેમાં તમામના પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી સરકારે આપી હતી જો કે મોટા ભાગના પ્રશ્નોના ઉકેલ લાવી દેવામાં આવ્યા છે. જે તે સમયે ઇન સર્વિસ ડોક્ટરોએ પણ પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરીને હડતાળ પર બેઠા હતા જેના અનુસંધાનમાં આરોગ્ય વિભાગે સળંગ બે વખત ઇન સર્વિસ ડોક્ટરોના હોદ્દેદારો સાથે બેઠક કરીને તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાની બાંયેધરી આપી હોવા છતા હજુ સુધી કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.
પડતર પ્રશ્નોનું નિરાકણ ન આવતા હડતાળ
ઇન સર્વિસ ડોક્ટરો એકપણ પ્રશ્નનું નિરાકરણ લવાયું નથી ત્યારે ઇન સર્વિસ ડોક્ટર એસો. દ્વારા ગત 19મીના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં 25મી સુધીમાં તમામ પ્રશ્નોના ઉકેલ લાવવામાં ન આવે તો 25મીથી જ અચોક્કસ મુદતની હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ઇન સર્વિસ ડોક્ટરોના કહેવા પ્રમાણે હજુ સુધી આરોગ્ય વિભાગે પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોઇ કામગીરી કરી નથી. ત્યારે હળતાળની ચિમકી ઉચ્ચારી છે.
હડતાળ પરત ખેંચે તેવો સરકાર પ્રયાસ કરશે
અહેવાલો અનુસાર આજે આરોગ્યમંત્રી નીતિન પટેલ 3.30 કલાકે ડોક્ટરોના હોદ્દેદારો સાથે બેઠક યોજી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. ઇન સર્વિસ ડોક્ટર એસો. તબીબોની માંગણી બાબતે બેઠકમાં રજૂઆત કરશે જો માંગ સંતોષવામાં નહી આવે તો તબીબોએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આજે મળનાર બેઠકમાં ઇન સર્વિસ ડોક્ટર એસો. હડતાળ પરત ખેંચે તેવો સરકાર પ્રયાસ કરશે.