ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની બેઠકો પર આજે પ્રચાર પડઘમ પર પરદો પડી ગયો છે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત
૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ચૂંટણીપંચ અને પોલીસને તમામ સમીકરણો પર ‘વોચ’ રાખશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે. ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. જેને લઇને હવે ઉમેદવારોને વિજયી બનાવવા માટેની સભા યોજી શકાશે નહીં, કે પછી કોઈ પણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે ત્યારે ડોર-ટુ-ડોર, ખાટલા મિટિંગ, ટેલિફોનિક કોન્ટેક્ટ જેવો પ્રચાર હાઇ લેવલે ચાલુ રહેશે.
ગુજરાતમાં કુલ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. પ્રથમ તબક્કામાં ૧ ડિસેમ્બર અને બીજા તબક્કામાં પ ડિસેમ્બરે મતદાન થવાનું છે. ૧૯ જિલ્લાઓમાં ૧ ડિસેમ્બરે મતદાન યોજાશે, જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન કરવામાં આવશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત
પ્રથમ તબક્કાની ૮૯ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઊતરેલા ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવાર સહિત અન્ય રાજકીય પક્ષના ઉમેદવાર દ્વારા ઠેરઠેર પ્રચાર સભા ઉપરાંત રેલી-જ્ઞાતિ મિલનો, સમારોહ અને જાહેર કાર્યક્રમો યોજીને ભરપૂર પ્રચાર કર્યો છે. ક્યાંક કાર્યકરો માટે ભિજયાં પાર્ટી તો ક્યાંક તવા પાર્ટીનાં આયોજનો ગોઠવાયાં છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારોએ નાણાંની કોથળીઓ જાણે છુટ્ટી મૂકી હોય તેવા માહોલમાં ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. જે હવે થી શાંત પડી ગયો છે. દરેક ચૂંટણીમાં સૌરાષ્ટ્ર હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે ત્યારે આ વખતે ભાજપ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં જોરશોરથી પ્રચાર કર્યો છે, જોકે રોડ શો, રેલી અને જન સભામાં જોવા મળેલી જનતાનો ઝુકાવ કયા રાજકીય પક્ષ તરફ રહેશે તે તો ચૂંટણીનાં પરિણામ જ બતાવશે.
હવે ચૂંટણીપંચ અને પોલીસ ‘વોચ’ રાખશે
મતદાનના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટીતંત્રએ ખાતરી કરવાની રહે છે. આથી હવે પ્રચાર પડઘમ પર પરદો પાડ્યા બાદ ચૂંટણીપંચ અને પોલીસને તમામ સમીકરણો પર ‘વોચ’ રાખશે.
મતદારોની નારાજગી દૂર કરવા છેલ્લી ઘડીના પ્રયત્ન
રાજ્યભરમાં આ વખતે પહેલા તબક્કાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. કેટલીક બેઠક ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ બે વખત પ્રચાર કરીને જાહેર સભાઓ ગજવી છે. સાંજથી જ ઉમેદવારો અને નેતાઓ દ્વારા જિલ્લાઓના સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ, ખાસ કરીને બિલ્ડરો અને વેપારીઓને મોડી રાત સુધી ફોન કરીને પોતાનાથી શક્ય થાય એટલા લોકોનો સંપર્ક કરવા જશે. જે પણ નારાજગી હોય તેને દૂર કરીને મતદારોને પોતાના તરફ ખેંચવા માટે છેલ્લી ઘડીના પ્રયાસ કરશે.
સુરતની વરાછા બેઠક એપી સેન્ટર બની
રાજકીય પંડિતોની નજર પાટીદાર બહુમતીવાળી બેઠક વરાછા રોડ પર છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતની સુરતની વરાછા બેઠક હાલમાં રાજકીય એપી સેન્ટર બનતાં ભાજપ અને આપના દિગ્ગજ નેતાઓ અહીં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના કુમાર કાનાણી, કોંગ્રેસના પ્રફુલ તોગડિયા અને ‘આપ’ના અલ્પેશ કથિરીયા વચ્ચે જંગ છે. માટે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં રોડ શો કર્યો હતો તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના ‘આપ’ના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી વરાછામાં કોઇ સ્ટાર પ્રચારકે મોટી સભા કરી નથી. કોંગ્રેસ ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે. સુરતમાં ભાજપ તરફથી પીએમ મોદી અને ‘આપ’માંથી અરવિંદ કેજરીવાલે રાત્રિ રોકાણ કર્યું હતું. રાત્રિ દરમિયાન બંને નેતાઓએ પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર પોતાનું જોર લગાવ્યું હોવાનું જાણવા મળે છે. સુરતમાં એક તરફ નવાજૂનીનાં એંધાણ દેખાઈ રહ્યાં છે ત્યારે બંને પાર્ટી પોતાની રીતે પૂરેપૂરી તાકાત લગાવી રહી છે.