અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરાયો, કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસેથી માગી વિગતો, હવે કુલ 17 જિલ્લાઓના ખેડૂતોને સહાય મળશે
અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરાયો
કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસેથી માગી વિગતો
હવે કુલ 17 જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં મળશે સહાય
અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે સરકારનો મોટો નિર્ણય લીધો છે. વધુ 6 જિલ્લાઓમાં પાક નુકસાન મુદ્દે સહાય કરવા સરકારે મન બનાવ્યુ છે. ષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરને સર્વે કરવા આદેશ પારિત કરી દીધા છે.
કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસે સર્વેની વિગતો આપવા આદેશ કર્યો
અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકસાની સહાય ચૂકવાની તૈયારી દર્શાવી છે. જેને લઈ કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલિક સર્વે કરાઇ વિગતો માંગી છે. સ્થાનિક MLA અને સાસંદોની રજૂઆતને પગલે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 4 જિલ્લાઓમાં સહાયની ચુકવણી ચાલુ છે જેમાં 15000થી વધુ ખેડૂતોને 32 કરોડ રૂપિયાની સહાય ખાતામાં નાખી દેવામાં આવી છે. તે બાદ 7 જિલ્લાનો સર્વ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. અને આજે વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરતાં હવે કુલ 17 જિલ્લાઓના ખેડૂતોને અતિવૃષ્ટિથી પાક નુકસાની સહાય મળશે.
4 જિલ્લામાં
સહાયની ચુકવણી ચાલુ
7 જિલ્લામાં સર્વ પૂર્ણ
સહાયની જાહેરાત બાકી
6 જિલ્લાનો ઉમેરો,
સર્વે હાથ ધરવા આદેશ
જામનગર
અમદાવાદ
બનાસકાંઠા
રાજકોટ
બોટાદ
ભરૂચ
જૂનાગઢ
સુરેન્દ્રનગર
કચ્છ
પોરબંદર
ભાવનગર
સાબરકાંઠા
-
છોટાઉદેપુર
ગીર સોમનાથ
-
પંચમહાલ
આણંદ
-
અમરેલી
-
4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે જાહેર કર્યુ હતુ પેકેજ
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. ત્યારે ધનતેરસના શુભ મુર્હુત પર ખેડૂતોના ખાતામાં મેસેજ આવતા નુકસાનીને કારણે આર્થીક ભીડમાં ચાલતો ખેડૂતને થોડી રાહત મળી છે.
બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ, થોડા દિવસમાં થશે સહાયની જાહેરાત
રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે. આજે 7 જિલ્લાઓની સર્વેની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે.