ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લઇને સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના 12 મેના ચુકાદા પર રોક લગાવી છે. 2017 ની ધોળકા બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ્દ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાલ રાજ્યના શિક્ષણમંત્રી છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ભૂપેન્દ્રસિંહની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. ચુડાસમાની જીતને પડકારતી અરજીમાં નિર્ણય આવ્યો હતો. કોંગી ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાંથી રાહતના સમાચાર આવતાની સાથે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસકમાએ 'સત્યમેવ જયતે' લખી ટ્વિટ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળી ગયેલ છે.
સત્યમેવ જયતે.
— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) May 15, 2020
શું છે મામલો
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.