ગણેશ મહોત્સવ તો લોકો ભારે ઉત્સાહથી ઉજવે છે. થોડા વર્ષો પહેલા માત્ર મહારાષ્ટ્રમાં મનાવાતો આ ઉત્સવ આજે ગુજરાતનો લોકોત્સવ બની ગયો છે. લોકો પોતાના મહોલ્લામાં કે શેરી- ગલીમાં તો ગણપતિનું સ્થાપન કરે જ છે, સાથે સાથે ઘરે ઘરે પણ સુખકર્તાને લાવે છે. તેના કારણે ગણેશજીની મૂર્તિઓ પણ ઘૂમ વેચાય છે.
અત્યાર સુધી ગણપતિની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનતી હતી. પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવવાના કારણે માટીના ગણપતિની મૂર્તિઓ બનવા લાગી છે. પરંતુ ભુજમાં અખબારના કાગળમાંથી ગજાનનનું સર્જન કરાયું છે.
પીઓપીમાંથી બનતી મૂર્તિઓ તળાવ, નદી કે સમુદ્રના પાણીને દૂષિત કરે છે. લાંબા સમય સુધી પીઓપી ઓગળતું નથી અને તેના અવશેષો પાણીમાં પડ્યા રહે છે. તેના કારણે ભગવાનની મૂર્તિની અવહેલના અને અપમાન તો થાય જ છે, સાથે જળચર જીવોને ક્યારેય ભરપાઇ ન થાય તેવું નુકશાન સહન કરવું પડે છે. આથી માટીના ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે.
અખબારી કાગળમાંથી અવનવી વસ્તુઓ તો બને જ છે પરંતુ ભુજના શીતલબેન માહેશ્વરીને તેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો અને પરિવારજનોની મદદથી સાકાર થઇ આ કલ્પના. ગણેશની આ મૂર્તિ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે. અખબાર વાંચી લીધા પછી પસ્તી જ બની જાય છે. આ વેસ્ટમાંથી હકિકતે બેસ્ટ તરીકે ગણેશજીનું સર્જન એક અનોખું સર્જન છે.