ભાવનગર: મનપાની મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજવી પરિવારોનાં વંશજોની શહેરમાં આવેલ મિલ્કતોને તમામ પ્રકારનાં કરવેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજવી પરિવારનાં વંશજો હાલ ભાવનગર અને મુંબઈમાં વસે છે. ત્યારે ભાવનગરમાં આવેલી 12 જેટલી મિલ્કતોને તમામ કરવેરામાંથી મુક્તિ મળશે.
રાજવી પરિવારનાં વંશજોની કેટલીક મહત્વની મિલકતની જો વાત કરીએ તો આમાં હોટેલ નિલમબાગ પેલેસ ગાર્ડન રેસ્ટોરેન્ટ હેલ્થ ક્લબ રહેણાંક બંગલો બીજ નિગમવાળી જગ્યા ભાવ વિલાસ પેલેસનો સમાવેશ થાય છે.
રાજવી પરિવારોએ તેમની મૂળ મિલ્કત જેઓને ભાડે આપી છે. તેમનાં ટેકસ માટે હાલ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી.
પરંતુ ભાડા ખાતામાં નક્કી થયું હશે તે તમામ પ્રકારનાં વેરો રાજવી પરિવારે ભરવાનો રહેશે. મહત્વપૂર્ણ છે કે ભાજપનાં શાસકોએ વર્ષ 2003માં ઠરાવ પણ પસાર કર્યો હતો. પરંતુ આજ દિન સુધી તેનો અમલ થયો નથી.
રાજવી પરિવારની આ મિલ્કતોનો તમામ પ્રકારનો ટેક્સ કુલ મળીને વર્ષે 12 લાખ જેટલી રકમ થાય છે કે જે રકમમાંથી મુક્તિ મળી છે.
મહત્વનું છે કે દેશની આઝાદીનાં સમયે સરદાર વલ્લભભાઇ પટેલનાં અખંડ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
ભારતનાં ઈતિહાસમાં આ ઘટનાને સુવર્ણ અક્ષરે પણ મઢવામાં આવેલી છે. ભાવનગરનાં રાજવી પરિવારો દીર્ઘ દ્રષ્ટિવાળા હતાં અને તેમને સ્થાપેલ અનેક શિલ્પ અને સ્થાપત્યોની ભાવનગરની પ્રજાને ભેટ આપેલ છે.
મહત્વનું છે કે રાજવી પરિવારોએ તેમની મૂળ મિલ્કત જેઓને ભાડે આપી છે તેમનાં ટેક્સ માટે જો કે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ તેમાં ભાડાખતમાં નક્કી થયું હશે કે તમામ પ્રકારનાં રાજવી પરિવારે જ ભરવાનો રહેશે
તો તેવી મિલ્કતોનો પણ સમાવેશ થશે.
જો કે વિપક્ષનું કહેવું એમ છે કે મહાનગરપાલિકાનાં શાસકોએ આ નિર્ણય લેવામાં ઘણું મોડું કર્યું છે. ભાવનગરનાં રાજવી પરિવાર પ્રત્યે આજે પણ નગરજનોમાં આદર અને પ્રેમ ભાવ છે અને તેને કારણે જ મહાનગરપાલિકાનાં શાસકોએ પોતાની લાગણી બતાવીને આ નિર્ણય કર્યો હોય એમ લાગે છે.