ભાવનગર: શહેરમાં આવેલા દીવાનપરામાં વર્ષો જુની યોજનાથી પાણી સંગ્રહ કરવાની અનોખી વ્યવસ્થા બનાવી હતી જે હાલ પણ કાર્યરત છે અને આ વિસ્તારના લોકોને ક્યારેય પાણીની તંગી પડતી નથી. સમગ્ર રાજ્યમાં પાણી માટે બૂમો પડતી હોય છે. ત્યારે આ વ્યવસ્થા લોકોને શીખ સમાન કહી શકાય છે. દિવાનપરા રોડ પર સૌથી વધુ જ્ઞાતિના લોકો રહેતા હતા તેમના મકાનો શિલ્પ અને કલાકૃતિ વાળા હતા. મોટા ફળિયા અને ફળિયામાં જ પાણીના સંગ્રહ માટે બનાવાયેલા ટાંકામાં તાંબાની પાઈપલાઈનથી વરસાદી પાણીનો સંગ્રહ કરાતો હતો.
હાલ પણ કેટલાક મકાનોમાં આ ટાંકા જોવા મળે છે. રાજુલાના પથ્થરની દીવાલો અને માથે તાંબાના ઢાંકા ધરાવતા આ ટાંકાની અંદરની દીવાલ પણ તાંબાના પાત્રથી મઢવામાં આવેલી છે. આ પાણી શુદ્ધ હોવાથી લોકોની તંદુરસ્તી પણ સારી રહે છે તેમ આ પાણી પિનારા લોકોનું માનવું છે.
ભાવનગરમાં સૌથી જુના વિસ્તાર તરીકે દિવાનપરા રોડ ભાગા તળાવ તેમજ નાગરપોલના ડેલાની જગ્યા પ્રચલિત છે. અહીં મોટાભાગના મકાનો તોડીને નવી બિલ્ડીંગો નિર્માણ પામી છે.માત્ર ગણતરીના મકાનો જ બચ્યા છે અને તેમાં હાલ આ પાણીના ટાંકા જોવા મળે છે. આ ટાંકામાં વરસાદી પાણી ભરવાના કારણે આસપાસના મકાનોમાં પાણીના સ્તર ઉંચા રહે છે.
ઉલ્લેખીય છે કે સવાસો વર્ષ જુના આ મકાનોમાં દર વર્ષે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ પાણીમાં કયારેય લીલ જામતી નથી. તેમજ પોરા પણ પડતા નથી આ પાણી જો ગરમ કરીને બીમારને પીવડાવવામાં આવે તો રોગ મટી જાય છે. ભાવનગરના જાણીતા ઇતિહાસવિદ લક્ષ્મણભાઈ વાઢેરના મતે ઈ.સ 1879ની સાલમાં 20 હજારથી વધુ કુવાઓ બનાવાયા હતા. અને તેના કારણે કયારેય પાણીની તંગી વર્તાઈ નથી. પણ હવે આ કુવાઓ પૂરાઈ ગયા છે અને કેટલાક સ્થળોએ સિમેન્ટના મકાનો બની ગયા છે.
;
હાલ રાજ્ય સરકાર પાણી બચાવો અને પાણીના સંગ્રહ માટે લોકોને માહિતગાર કરતી હોય છે અને તેના પાછળ લાખોનો ખર્ચ કરે છે. ત્યારે ખરા અર્થમાં રાજાશાહીના સમયમાં દીર્ઘદ્રષ્ટી ધરાવતા લોકોની આ વ્યવસ્થા ખરેખર અપનાવવા જેવી છે. નેતાઓએ આ સ્થળની મુલાકાત લઈને લોકોને આ અંગે માર્ગદર્શન આપવાની જરૂર છે.