આટકોટ ખાતે નિર્મિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલની લોકાર્પણ પત્રિકામાં નરેશ પટેલના નામને સ્થાન ન આપવા મામલે ડૉ. ભરત બોઘરાએ મહત્વનું નિવેદન આપ્યું.
રાજકોટની કે.ડી.પરવાડિયા હોસ્પિટલ લોકાર્પણનો મામલો
આમંત્રણ પત્રિકા બાબતે ડૉ.ભરત બોઘરાનું નિવેદન
નવી પત્રિકામાં ખોડલધામનું નામ અને લોગો બંન્ને રાખવામાં આવશે
રાજકોટના આટકોટ ખાતે નિર્મિત કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ પત્રિકામાં નરેશ પટેલના નામને સ્થાન આપવામાં ન આવતા સોશિયલ મીડિયામાં તેનો ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, 'અમારો હેતુ કોઈ પણ વ્યક્તિને દુઃખ પહોંચાડવાનો ન હોતો. મેં ખુદ નરેશ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને હું ખુદ તેઓને આમંત્રણ આપવા પણ જવાનો છું. પ્રધાનમંત્રીના આગમનના સમયમાં ફેરફાર થયો છે. જેથી નવી પત્રિકા છાપવામાં આવશે. આ પત્રિકામાં ખોડલધામનું નામ અને લોગો બંન્ને રાખવામાં આવશે.'
એ તો આયોજકોની ઇચ્છાની વાત છે કે કોઇનું નામ લખવું કે ના લખવું
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે ખોડલધામ ખાતે નરેશ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જે પહેલાં આ મામલે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'એ તો આયોજકોની ઇચ્છાની વાત છે. કોઇનું નામ લખવું કે ના લખવું તે તેની પર હોય છે. ખોડલધામ લેઉઆ પટેલની એક માતૃધામ સંસ્થા છે અને એનું નામ ન લખાણું હોય ત્યારે નરેશ પટેલ ગૌણ હોય છે. પરંતુ ખોડલધામનું નામ ન આવે તો સ્વાભાવિક છે કે લોકો રોષે ભરાય અને વાત સામે આવે. આ મામલે ઘણા લોકોના ફોન આવે છે અને ઘણા લોકો રોષે ભરાયેલા છે કે ખોડલધામ પાટીદાર લેઉઆ પટેલની આટલી મોટી સંસ્થા છે છતાં તેનું નામ જો કાર્ડમાં ન હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં અંદર થોડીક નારાજગી હોય.'
ગઇ કાલે ખોડલધામ ખાતે 4 પાટીદાર આગેવાનો વચ્ચે યોજાઇ હતી મહત્વની બેઠક
વધુમાં જણાવી દઇએ કે, ગઇ કાલે રાજકોટના ખોડલધામ ખાતે રાજકીય અને સામાજિક મુદ્દાઓ તેમજ હાર્દિકની કોંગ્રેસથી નારાજગી અને નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા મામલે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ચર્ચા બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'બેઠકમાં મારા પ્રવેશ અંગે ચર્ચા થઇ કે જે ક્યારે કરવો જોઇએ અને ક્યારેય ન કરવો જોઇએ, અને કઇ રીતે કરવો જોઇએ. એટલે હજુ અમારા એક રાઉન્ડની બેઠક થશે. આગામી 5થી 7 દિવસમાં બીજી બેઠક થશે ત્યાર બાદ હું મારો નિર્ણય તમારી સમક્ષ મૂકીશ.'
વધુમાં જણાવ્યું કે, 'મારા વિશે પણ ઘણી ચર્ચા થઇ. પણ અગાઉ કહ્યું તેમ મારા વિશે વડીલો, યુવાનો ચિંતા કરે છે. પરંતુ મારા મામલે નિર્ણય હજુ એક બેઠક બાદ લેવાશે. 5-10 દિવસની અંદર જ હું મારો નિર્ણય જણાવી દઇશ.'
હાર્દિક એટલો મેચ્યોર છે કે તે મને સમજાવી શકે છે : નરેશ પટેલ
નરેશ પટેલે હાર્દિક અંગે જણાવ્યું કે, 'હાર્દિક પટેલને કયા પક્ષમાં રહેવું તે નિર્ણય તેનો અંગત હશે. આજની અમારી બેઠકમાં કોઇ પક્ષ ફેરવવો કે નહીં તે અંગેની પણ ચર્ચા થઇ નથી. હાર્દિક એટલો મેચ્યોર છે કે તે મને સમજાવી શકે છે.' આ સાથે કેસ પરત ખેંચવા અંગે જણાવ્યું કે, 'તેની સ્પીડ જરાક વધારે કરવામાં આવે તેવી સરકારને વિનંતી. પાટીદાર સમાજમાં જેટલાં પણ નેતા બેઠેલા છે તેમને પણ વિનંતી કરીએ છીએ, CM સાહેબને પણ વિનંતી કરી છે અને એ લોકો પણ ખૂબ કોશિશ કરે છે કે આ જલ્દીથી પતી જાય.'