કોરોના વાયરસની વેક્સીન વિકસિત કરવા માટે દુનિયાભરમાં શોધ ચાલી રહી છે. આ સમયે ભારતીય કંપની ભારત બાયોટેક સ્વદેશી કોરોના વાયરસ વેક્સીન કોવૈક્સીન પર કામ કરી રહી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કંપનીને વેક્સીનના ત્રીજા ટ્રાયલની મંજૂરી આપી છે. કંપનીનું કહેવું છે કે આવનારા વર્ષે જૂનમાં વેક્સીન લોન્ચ થવાની શક્યતા છે.
કોરોનાની સ્વદેશી વેક્સીનને લઈને કરાયો દાવો
ભારત બાયોટેક કંપનીએ કર્યો છે દાવો
કોવૈક્સીન વેક્સીન જૂન 2021માં થશે લોન્ચ
કંપની હૈદરાબાદની છે અને તેણે 2 ઓક્ટોબરે ડીસીજીઆઈને અરજી કરીને ત્રીજા ટ્રાયલની મંજૂરી મેળવી છે. કંપનીની યોજના 12-14 રાજ્યોના 20000થી વધારે લોકોને ટ્રાયલમાં સામેલ કરવાની છે. કંપનીના ડાયરેક્ટરે કહ્યું છે કે જો તમામ પરમિશન મળી તો શક્યતા છે કે 2021ના જૂન મહિનામાં વેક્સીન લોન્ચ થાય.
ખાસ રીતે કામ કરશે વેક્સીન
ICMRના સહયોગથી આ વેક્સીન તૈયાર થઈ રહી છે. કોવૈક્સીન એવી રસી છે જેમાં શક્તિશાળી ઈમ્યુન સિસ્ટમ વિકસિત કરવા માટે કોરોનાના મૃત વિષાણુઓ શરીરમાં ઈન્જેક્ટ કરી શકાય છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ કોરોના વાયરસની વેક્સીન કોવીશિલ્ડ બનાવી રહ્યું છે.માનવામાં આવી રહ્યું છે તેનું કામ ભારત બાયોટેકથી આગળ ચાલી રહ્યું છે. કહેવાય છે કે સીરમ ઈન્સ્ટિટ્યુટે ત્રીજા ચરણના ટ્રાયલને માટે લોકોની પસંદગી શરૂ કરી છે. પરંતુ તેમ છતાં સરકાર મંજૂરીને લઈને વિચાર કરી શકે છે.