વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ તા.૩૧.૦૮.૨૦૨૧ સુધીમાં ભરવાપાત્ર થતી વેરાની બધી જ રકમ યોજનાની અંતિમ તારીખ સુધીમાં ભરપાઇ કરેલ હોય પરંતુ માત્ર ભરવાપાત્ર વ્યાજની રકમ અંશતઃ કે સંપૂર્ણ ભરવાની બાકી હોય તેવા કિસ્સામાં જ જો વેપારી તેવી વ્યાજની બાકી રકમ હવે આગામી બે માસમાં જ એટલે કે, તા.૨૫.૦૭.૨૦૨૨ સુધીમાં એકીસાથે ભરપાઇ કરે તો તેને વેરા સમાધાન યોજના-૨૦૧૯નો લાભ મળવાપાત્ર થશે એમ નાણાં વિભાગની યાદીમા જણાવાયું છે.
કોણે મળશે લાભ?
સરકાર તરફથી વિભાગ દ્વારા બહાર પાડેલી યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર વેરા સમાધાન યોજના-૨૦૧૯ માટે વખતોવખત સુધારાઓ બહાર પાડવામાં આવ્યા છે. છેલ્લે આ યોજના હેઠળ બધી જ રકમ તા.૩૧.૦૮.૨૦૨૧ સુધીમાં વ્યાજ સાથે ભરી શકે તેવી છૂટછાટ આપવામાં આવેલ હતી. જે કિસ્સામાં વેપારીઓએ હપ્તા ભરવાની અંતિમ તારીખ સુધીમાં વેરાની તમામ મુળ રકમ ભરેલ છે પરંતુ વ્યાજની રકમ અંશતઃ કે સંપૂર્ણ ભરવાની બાકી હોય તો તેવા કિસ્સાઓમાં યોજનાની જોગવાઇ અનુસાર આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી. આવા કેસોમાં માત્ર બાકી વ્યાજની રકમ ભરવાની મંજૂરી આપી આવા વેપારીઓને વેરા સમાધાન યોજના-૨૦૧૯નો લાભ આપવા માટે આ નિર્ણય કરાયો છે.
વેરા સમાધાન યોજના-2019
વેચાણવેરો , વેટ, કેન્દ્રિય વેચાણવેરો, મોટર સ્પીરીટ ટેક્સ, શેરડી ઉપરનો ખરીદવેરો, એન્ટ્રી ટેક્સ કાયદાઓ હેઠળની ભરવાની થતી રકમમાં વ્યાજ અને દંડ માફી તથા ભરેલ વેરાની આનુષંગિક માંડવાળ માટે પૂર્વ રૂપાણી સરકારમાં આ યોજના લાવવામાં આવી હતી. કોરોના કાળમાં વેપારીઑનો આ યોજના થકી સારો એવો લાભ પણ આપવામાં આવ્યો હતો