મધ્ય પ્રદેશની 27 વિધાનસભા સીટો પર ભલે હજુ સુધી પેટાચૂંટણીની ઘોષણા થઈ નથી. પરંતુ તેને લઈને પ્રદેશના રાજકારણના અખાડામાં ઊઠાપટક શરૂ થઈ ગઈ છે. પ્રદેશની બંને મોટી પાર્ટી આ ચૂંટણીને ગમે તે ભોગે જીતવા માંગે છે, કેમ કે આ ચૂંટણી પર મધ્ય પ્રદેશમાં સરકારના પતન અને નિર્માણનું ભવિષ્ય નિર્ભર કરે છે. CM શિવરાજસિંહ ચૌહાણ કોઈ જ તક છોડવા માંગતા નથી. તેથી પ્રદેશના ખેડૂતો માટે તેમણે મોટી ઘોષણા કરી છે.
દર વર્ષે ખેડૂતોને મળશે 10000 રૂપિયાની સહાય
મધ્ય પ્રદેશમાં તોળાઈ રહી છે 27 સિતોની પેટાચૂંટણીઓ
શિવરાજ સરકારનું ભવિષ્ય આ ચૂંટણી પર નિર્ભર છે
મધ્ય પ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રદેશના ખેડૂતોને રાહત આપતી જાહેરાત કરી છે. તેમની યોજના પ્રમાણે પીએમ કલ્યાણ સ્કીમ હેઠળ ખેડૂતોને હવે 6 હજાર નહીં પરંતુ 10 હજારની રકમ સહાયતા પેટે મળશે.
4000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ કહ્યું હતુ કે મુખ્યમંત્રી કલ્યાણ સ્કીમ ની અંતર્ગત રાજ્યના ખેડૂતોને બે હપ્તામાં 4000 રૂપિયાની સહાય મળશે. સાથે જ પીએમ કલ્યાણ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર પહેલાથી જ 6000 રૂપિયાની સહાય આપી જ રહી છે. આમ ખેડૂતોને 10 હજાર રૂપિયાની મદદ મળશે.
ઘણા મોટા નેતાઓનું ભાવિ આ ચૂંટણીથી નિર્ધારિત થશે
27 સીટો પર પેટાચૂંટણી ક્યારે થશે તે માટેનું સસ્પેન્સ હજુ બરકરાર છે. જે વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી થવાની છે તેમાંથી 16 તો માત્ર ગ્વાલિયર ચંબલ વિભાગના છે. જે જ્યોતિરાદિત્ય સિંધિયા નું પ્રભાવ ક્ષેત્ર માનવામાં આવે છે. મધ્ય પ્રદેશ માં આ પ્રથમ વાર જ હશે કે 27 વિધાનસભા ક્ષેત્રોમાં એકી સાથે પેટાચૂંટણી થશે. આ ચૂંટણીના પરિણામ ઘણા મોટા નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે.