અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલે આપ્યું રાજીનામું, 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા
ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો
કોંગ્રેસના નેતા નીતિન પટેલનું રાજીનામું
નારણપુરા બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
ગુજરાતમાં ચુંટણી પહેલા પક્ષપલટો જોવા મળી રહ્યો છે. જેનું સૌથી વધુ નુકશાન કોંગ્રેસમાં થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઘણા કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ હાલ પક્ષપલટો અથવા રાજીનામાં તરફ વળી રહ્યા છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદ શહેર કોંગ્રેસના નેતા નીતિન પટેલે આપ્યું રાજીનામું.
જગદીશ ઠાકોરને સોપ્યું રાજીનામું
વાત કરીએ તો નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે રાજીનામું આપીને કોંગ્રેસને પડતા પર પાટું માર્યું જેવી હાલત કરી છે. કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું.
અમિત શાહની પરંપરાગત નારણપુરા બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામામાં પોતાના રાજીનામા આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે અહીં ચાલતા પૂર્વાનુમાનનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે, ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક એવી અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ લોકો જાણતા જ હશે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ બેઠક પરથી 41 હજાર મત નીતિન પટેલના ખાતામાં પડ્યા હતા. સાથે જ તેઓ કદાચ કેસરિયો ધારણ કરે તેવી અફવાઓ પણ ફેલાઈ રહી છે જેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી.