સુરતમાં વરસાદે વિરામ તો લીધો પરંતુ છેલ્લા 48 કલાકથી પાણી ન ઉતરતા રહીશો હેરાન પરેશાન, ખાડી વિસ્તારમાં પાણીમાં ગરકાવ સોસાયટીનો વીટીવી ન્યૂઝ પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
સુરતમાં બે દિવસથી વરસાદી પાણીની પરેશાની
ખાડીના પાણી શહેરમાં દાખલ થતા સમસ્યા
VTV NEWSનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
ગુજરાતમાં વરસાદને વરસવાનું મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાય છે તો ક્યાંક પાણીનો નિકાલ ન થતા રહીશોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આવી જ સ્થિતિ જોવા મળી છે સુરતમાં..
સુરતમાં ખાડી વિસ્તાર જળમગ્ન
જી, હા સુરતમાં ખાડી વિસ્તારમાં તો જાણે કે નદીઓ જ રોડ પર વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે ખાડીઓ ઓવરફ્લો થતા સુરત શહેરમાં ખાડીના પાણી આખા શહેરમાં ફરી વળ્યા. સુરત આખુ પાણી પાણી થઇ ગયું છે. છેલ્લા 48 કલાકથી પાણી ભરાયેલુ છે. હજી સુધી પાણીનો નિકાલ થયો નથી.
વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા આ વિસ્તારની સ્થિતિ જાણવા માટે સુરતના ખાડી વિસ્તારમાં પહોંચ્યુ હતું. પરવત પાટિયા વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ જળમગ્ન બની છે. કોઇ સોસાયટીની બહાર નીકળી શકતુ નથી તો કોઇ ઘરની બહાર. ઘૂંટણ સમા પાણી ભરાતા રૂટિન લાઇફમાં લોકો હાલાકી વેઠી રહ્યા છે. નોકરીએ જવામાં કે દૂધ-શાકભાજી લાવવામાં લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરની બહાર પાણીમાં જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર બન્યા છે.
એક કાઉન્સિલર- સેવાભાવીઓ આવ્યા મદદે
છેલ્લા 48 કલાકથી અહીના રહીશો પાણીમાં જ રહેવા મજબૂર બન્યા છે. તંત્ર પણ અહીં જોવા આવ્યુ નથી. જો કે રહીશો જણાવી રહ્યા છે કે કાઉન્સિલર દિનેશ રાજપુરોહિત દ્વારા છેલ્લા 3 દિવસથી સેવા આપવામાં આવી રહી છે. નોકરિયાતોને ટ્રેક્ટરમાં બેસા઼ડીને આ ઘૂંટણસમા પાણીમાંથી ગંતવ્ય સ્થળે પહોંચાડે છે. નોકરીથી પાછા ઘરે જવામાં પણ મદદ કરે છે.
ક્યાં સુધી હાલાકી વેઠશે રહીશો ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું કરી રહ્યુ છે તંત્ર, 4-4 ફૂટ પાણીમાં છેલ્લા બે દિવસથી રહીશો રહેવા મજબૂર બન્યા છે. બે દિવસ થવા છતાં પાણીનો કોઇ નિકાલ આવ્યો નથી. હજી તો આગામી બે દિવસ વરસાદની આગાહી છે ત્યારે તંત્ર દ્વારા ખાડીના પાણીનો નિકાલ લાવવા માટે શું તજવીજ હાથ ધરવામાં આવે છે તે જોવુ રહ્યું.