બેંક ખાતાધારકો માટે ખુશખબર આવી રહી છે. ખાતા ધારકો માટે મોબાઈલ નંબર પોર્ટિબિલિટીની જેમ બેંક એકાઉન્ટ નંબર પોર્ટિબિલિટીની સુવિધા ઊભી થાય તો નવાઈ નહી. જી હાં રિઝર્વબેંકના ડેપ્યુટી ગવર્નર એસ.એસ. મુંદડાએ બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટીનું સમર્થન કર્યું છે.
મુંદડાએ ભારતીય બેંકિંગ સંહિતા અને માપદંડ બોર્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાછલાં બે વર્ષમાં મોટાભાગના લોકોના આધાર કાર્ડ બની ગયા છે. IMPSએ બેંકિંગ લેણદેણ માટે ઘણી એપ પણ શરૂ થઈ છે આથી ખાતા નંબર પોર્ટિબિલિટીની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. મુંદડાએ કહ્યું હતું કે એકવાર બેંક ખાતા નંબર પોર્ટિબીલીટી શરૂ થશે પછી ક્યારેય ન બોલનારો ખાતા ધારક બેંક સાથે વાત કર્યા વગર જ અન્ય બેંક સાથે જોડાઈ જશે.
મુંદડાએ બેંકોની સેવાઓ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઘણી બેંકો BCSBI દ્વારા નક્કી કરાયેલ નિયમોનું પાલન કરતી નથી. તેમણે કહ્યુ કે બેંક ખાતુ ચાલુ રાખવા માટે નિશ્ચિત રકમ બેંકમાં જમા રાખવી જરૂરી છે. પરંતું આ માત્ર એક કારણથી ખાતા ધારકને બેંકિંગ સુવિધાથી વંચિત રાખી શકાય નહી. કેટલીક બેંક ખાતા ધારક પાસેથી દંડ વસૂલે છે જે યોગ્ય નથી.
રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર મુંદડાએ કહ્યુ હતું કે જો બેંક યોગ્ય અને પર્યાપ્ત સુવિધાઓ આપતી હોય તો થોડો દંડ વસૂલે તે માની શકાય પરંતુ તેની રકમ પણ વાજબી હોવી જોઈએ આખરે ગ્રાહક એક એવો ભગવાન છે કે જેનાથી બેંકો ચાલે છે.