PTIના એક અહેવાલમાં લાહોરના શાક માર્કેટના ડીલરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરવા પર વિચાર કરી રહી છે
પાકિસ્તાન દ્વારા ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરવા પર વિચાર
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાક મહિનાઓથી અણધાર્યા સંકટનો સામનો કરી રહ્યું છે. પહેલા આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી. હજુ સુધી કોઈ ઉકેલ મળ્યો નથી, તે પહેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાઈ ગયું, જેનું પરિણામ સત્તા પરિવર્તનના રૂપમાં જોવા મળ્યું. જે બાદમાં હવે કુદરત પાકિસ્તાન પર તબાહી મચાવી રહી છે. દેશના ઘણા ભાગોમાં પૂર સંકટની સ્થિતિ ભયાનક બની હોય આ સંકટ વચ્ચે પાકિસ્તાનમાં સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે.
પાકિસ્તાનમાં પૂર સંકટની ભયાનક સ્થિતિ વચ્ચે મોંઘવારી પણ સતત વધી રહી છે. જેમાં ખાસ કરીને શાકભાજીના ભાવ લોકોને લોહીના આંસુએ રડાવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ દિવસોમાં પાકિસ્તાનમાં ટામેટાંની કિંમત 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડુંગળી 400 રૂપિયા પ્રતિ કિલો છે. સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલમાં લાહોરના શાક માર્કેટના ડીલરો દ્વારા કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરવા પર વિચાર કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ભયાનક પૂરના કારણે શાકભાજી અને અન્ય પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે પાકિસ્તાનમાં શાકભાજી સહિત અનેક જરૂરી ખાદ્ય ચીજોની અછત સર્જાઈ છે. માત્ર ટામેટાં અને ડુંગળી જ નહીં પરંતુ લાહોર સહિત પાકિસ્તાની પંજાબના ઘણા ભાગોમાં તમામ શાકભાજીના ભાવ રેકોર્ડ સ્તરે છે.
બજારના જથ્થાબંધ વેપારીએ શું કહ્યું ?
લાહોરના બજારના જથ્થાબંધ વેપારી જવાદ રિઝવીએ પીટીઆઈને જણાવ્યું કે, "રવિવારે લાહોરના બજારોમાં ટામેટાં 500 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. જો કે, રવિવારે યોજાયેલા હાટમાં, તેમની કિંમતો નિયમિત બજારો કરતાં આશરે રૂ. 100 પ્રતિ કિલો ઓછી હતી. પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં ટામેટાં અને ડુંગળી સહિત તમામ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી શકે છે. રિઝવીએ આશંકા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં ડુંગળી અને ટામેટાંના ભાવ 700 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે. એ જ રીતે બટાટા પણ 40 રૂપિયા પ્રતિ કિલોના બદલે 120 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.
પૂરના કારણે હજારો એકર પાકને મોટું નુકસાન
એક રીપોર્ટ અનુસાર બલૂચિસ્તાન અને સિંધમાં પૂરના કારણે ટામેટાં, ડુંગળી અને અન્ય શાકભાજીનો હજારો એકર પાક નાશ પામ્યો છે. એવી માહિતી મળી રહી છે કે, પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડર દ્વારા ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરવાનું વિચારી રહી છે. હાલમાં લાહોર સહિત પાકિસ્તાની પંજાબના અન્ય શહેરોને તોરખામ બોર્ડર દ્વારા અફઘાનિસ્તાનથી ટામેટાં અને ડુંગળીનો પુરવઠો મળી રહ્યો છે.