લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીની જીત થઈ છે. ત્યારે હવે ભાજપના બન્ને નેતાઓ રાજ્યસભામાંથી રાજીનામું આપશે. બન્ને નેતાઓની લોકસભામાં જીત થતા રાજ્યસભાની બેઠકો ખાલી પડશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી મામલે રાજકારણ ગરમાયું છે.
રાજ્યસભાની ચૂંટણી મુદ્દે જીતુ વાઘાણીના નિવેદન મામલે અર્જુન મોઢવાડિયા પ્રતિક્રિયા આપી છે. રાજ્યસભાની સીટ અંગે મોઢવાડિયાએ કહ્યું કે જીતુ વાઘાણી અકંગણિત નબળુ છે. કાં તો એમને મની પાવર પર ભરોશો હશે. એક સીટ જીતવા 61 મત જોઇએ, પરંતુ કોંગ્રેસ પાસે 71 સીટ છે. કોંગ્રેસના જેટલા ધારાસભ્યો છે તે એક જુથ અને અકબંધ છે. ગત રાજ્યસભામાં 14 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તમામ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા છે.
આગામી સમયમાં બે બેઠક અમારી પાસે જ રહેશેઃ વાઘાણી
રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભાજપ વિજયશ્રીને વરેલી પાર્ટી છે એટલે ભાજપનો જ વિજય થશે. રાજ્યસભાની બંને બેઠક અમારી પાસે છે. સમયની રાહ જૂઓ જીત અમારી જ થશે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 3 ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
મહત્વનુ છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાની ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. હવે લોકસભામાં જતા બન્ને નેતાઓને રાજ્યસભામાંથી રાજીનામું આપવુ પડશે. હાલમાં કોંગ્રેસના 70થી વધુ ધારાસભ્યો હોવાથી ભાજપને એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે. બે બેઠકમાંથી ભાજપના હાથમાંથી એક બેઠક જાય તેવી શક્યતા છે. ત્યારે જીતુ વાઘાણીએ આ મામલે નિવેદન આપતા સમગ્ર મામલો ગરમાયો છે.