પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અર્બુદા સેનાના પ્રવક્તા દ્વારા કેટલાક મહત્વના દાવા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન લીધું નથી.
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડનો મામલો
અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ કર્યા દાવા
વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન લીધું નથીઃ રાજન ચૌધરી
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટેના આદેશ અનુસાર, વિપુલ ચૌધરીને હાલ સાબરમતી જેલમાં મોકલવામા આવ્યા છે. જેના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અર્બુદા સેનાના પ્રવક્તા દ્વારા કેટલાક મહત્વના દાવા કરવામાં આવ્યા છે. અર્બુદા સેનાના પ્રવક્તા રાજન ચૌધરીએ મીડિયા સમક્ષ સરકાર પર આક્ષેપો કર્યા છે.
વિપુલ ચૌધરીના પુત્રએ ખરીદ્યું છે મકાનઃ રાજન ચૌધરી
ફરિયાદમાં જે મુદ્દા લેવામાં આવ્યા છે તેના અંગે રાજન ચૌધરીએ જણાવ્યું કે, વિપુલ ચૌધરી પર જે આક્ષેપ છે કે તેમણે વિદેશમાં મકાન લીધું છે, તો તેમણે વિદેશમાં મકાન લીધેલ નથી, તેમનો પુત્ર પવન ચૌધરી અમેરિકામાં સીએ તરીકે નોકરી કરે છે. પવન ચૌધરીએ વર્ષ 2018માં 11,80,000 ડોલરની કિંમતનું મકાન ખરીદ્યું છે. જેના પર 9 લાખ 44 હજાર ડોલરની પવન ચૌધરીએ બેંક લોન લીધી હતી. આજે પણ તેઓ 7 હજાર ડોલરનો હપ્તો ભરે છે અને હજુ પણ 8,72,499 ડોલર ભરપાઈ કરવાના બાકી છે.
પોલીસે 27 કંપનીઓના નામ હજી પણ જણાવ્યા નથી
તેમણે જણાવ્યું કે, ફરિયાદમાં વિપુલ ચૌધરીએ 31 કંપની બનાવી છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે 27 કંપનીઓના નામ હજી પણ જણાવ્યા નથી અને જે 4 કંપની છે, તે કંપની સાથે દૂધ સાગર ડેરીમાં અને તેના કોઈ વેન્ડર મારફતે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો નથી. ખોટી રીતે ભષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેવો વિપુલ ચૌધરી પર આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપુલ ચૌધરી સામે મૌખિક રજૂઆતો છે, પોલીસ પાસે કોઈ પુરાવા નથી. વિપુલ ચૌધરી સાચા છે પણ તેમને બદનામ કરવા માટે કાવતરું ધડવામાં આવ્યું છે.
વિપુલભાઇને ખોટી રીતે કરાઈ રહ્યા છે હેરાનઃ રાજન ચૌધરી
રાજન ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ દ્વારા હોર્ડિંગ્સ લગાવવા બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો જણાવી દઈએ કે, વિપુલભાઈ 31 માર્ચ 2016 સુધી જ ચેરમેન હતા. જ્યારે હોર્ડિંગ્સની ખરીદી 21 એપ્રિલ 2016ના રોજ ખરીદી થઈ છે. તેમના સમયમાં કોઈ ખરીદી થઈ નથી. તેમને ફસાવવા માટેનું કાવતરુ રચવામાં આવ્યું છે, માટે જે આક્ષેપો છે તે ખોટા છે. રાજકીય કિન્નાખોરી રાખી કેટલાક લોકો પોતાના સ્વાર્થ સાધવા ખોટા આક્ષેપ કરે છે. અર્બુદા સેના આ આક્ષેપોને વખોડી કાઢે છે.
ભ્રષ્ટાચારને લઈને તપાસનો ધમધમાટ
દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.તેમના વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવી શકે છે. વિપુલ ચૌધરીએ તેમના પરિવાર અને અન્ય લોકોના નામે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો આક્ષેપ છે. નાણાકીય વ્યવહારો તપાસવા માટે એસબી ફોરેન્સિક ઓડિટ પણ કરાવશે. જેના રિપોર્ટ બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવશે.
31 હજાર રોકડ અને દસ્તાવેજો કબજે લેવાયા
ઉલ્લેખનીય છે કે, 20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACB ટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી હતી. તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો.
800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે, રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.