સુરતની આગ પછી લોકો તો જાગી ગયા છે પણ તંત્ર ભર ઊંઘમાં છે. આપણે વાત કરી રહ્યાં છે અરવલ્લી જિલ્લાની . 6 તાલુકાઓ ધરાવતાં આ જિલ્લામાં આગ લાગે તો કૂવો ખોદવા જેવી સ્થિતી છે કારણ કે અરવલ્લી જિલ્લાના 5 તાલુકામાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ તંત્ર ધરાવતું નથી .ત્યારે શું તંત્ર મોટી જાનહાનિ સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ?
અરવલ્લી જિલ્લામાં બે જ ફાયર ફાઈટર અને તે પણ માત્ર મોડાસા નગરપાલિકા પાસે જ સુરતની આગની ઘટના પછી પણ સરકાર સંશાધન વિહોણી છે તે સ્પષ્ટ છે અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, બાયડ, ધનસુરા, મેઘરજ અને માલપુર એમ 6 તાલુકા આવેલાં છે અને આ 6 તાલુકાઓના 688 ગામો વચ્ચે સમ ખાવા પૂરતાં બે જ ફાયર ફાઈટર છે અને થોડાં ટાચા સાધનો છે.
અરવલ્લીનાં જિલ્લા મથક મોડાસાથી અન્ય તાલુકાઓનું અંતર 30થી 50 કિલોમીટર જેટલું છે ત્યારે જો આગ લાગે તો તાત્કાલિક કઈ રીતે પહોંચી શકાય ? આગ લાગે ત્યારે અડધો કલાકે ઘટના સ્થળે પહોંચાય તેવી સ્થિતી છે ત્યારે તંત્ર સુરત જેવી દુર્ઘટના બનવાની રાહ જોતું હોય તેવું જ લાગી રહ્યું છે.
જિલ્લાનાં મોડાસા સિવાયનાં તાલુકાઓમાં ચાલુ વર્ષે ખેતરોમાં ઘઉંના પાક સિવાય જંગલોમાં અને હાઈવે ઉપર વાહનોમાં ૧૦૦ થી વધુ નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બની છે જેમાં લાખોનું નુકસાન થયું છે આ ઉપરાંત અરવલ્લી જીલ્લાના શામળાજી અને મોડાસા ગોધરા હાઈવે ઉપર પણ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે બને છે શામળાજી પાસે કારમાં આગ લાગવાની ઘટનામાં એક વર્ષ આગાઉ એક યુવકનું મોત પણ થઇ ચુક્યું છે.
આ ઉપરાંત યાત્રાધામ શામળાજી રાજ્યનું પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી વર્ષ દરમિયાન કાર્તિકી પૂર્ણિમા જન્માષ્ટમી અને દર પૂર્ણિમાએ લાખો ભક્તો દર્શન માટે ઉમટે છે ત્યારે અહી પણ કોઈ સુવિધા નથી ત્યારે ફાયર સેફટીની વાતો કરતુ તંત્ર જીલ્લામાં મોડાસા સિવાય અન્ય સ્થળો ઉપર ફાયર ફાઈટરની વ્યવસ્થા કરાવે તે અત્યંત જરૂરી છે .નહીં તો મોડાસા સિવાયના અન્ય પાંચ તાલુકાઓમાં સુરત જેવી ઘટના નું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં. લોકો તો સુરતની આગથી સફાળા જાગી ગયા છે પરંતુ તંત્ર હજુ ઘોર નિંદ્રામા છે શું અરવલ્લી જિલ્લાનું વહીવટી તંત્ર વધુ એક લાક્ષાગૃહ સર્જાય તેની રાહમાં છે?