સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ખાલી થનારી રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલના અમુક પદો પર નિમણૂંકને લઈને રાજકીય ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી પછી રાજ્યપાલની નિમણૂંક
પૂર્વોત્તરના પાંચ રાજ્યોનો રાજ્યપાલનો કાર્યકાળ સમાપ્ત
ભાજપનું ફોક્સ રહેશે આ નિમણૂંક પર
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ખાલી થનારી રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલના અમુક પદો પર નિમણૂંકને લઈને રાજકીય ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. જે રાજ્યપાલનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે, તેમાં મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ તથા સિક્કિમના રાજ્યપાલ અને અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ સામેલ છે. તો વળી નાગાલેન્ડના રાજ્યપાલનો પ્રભાર હાલમાં આસામના રાજ્યપાલ જગદીશ મુખી પાસે છે.
આ રાજ્યપાલનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે
રાજ્યપાલની આ ખાલી જગ્યા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી થશે. જે પાંચ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂંક સંભવ છે, તે તમામ પૂર્વોત્તરના છે. ત્યારે આવા સમયે આ રાજ્યોની રાજનીતિને પણ જોવામાં આવી રહ્યું છે. રાજ્યપાલોની નિમણૂંકમાંથી રાજકીય મેસેજ જાય છે, જેની સીધી અસર ચૂંટણીની રાજનીતિ પર પડે છે.
આસામના રાજ્યપાલ જગદીશ મુખી, અરુણાચલના રાજ્યપાલ બીડી મિશ્રા, સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદ અને અંડમાન-નિકોબારના ઉપ રાજ્યપાલ ડીકે જોશીનો કાર્યકાળ ઓક્ટોબરમાં ખતમ થઈ રહ્યો છે. જ્યારે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ જશે.
બે રાજ્યપાલ એવા પણ છે, જેમનો બીજો કાર્યકાળ ચાલુ છે
પુડુચેરીમાં પણ ઉપ રાજ્યપાલનું પદનું ખાલી છે. જેનો પ્રભાર તેલંગણાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન પાસે છે. આ ઉપરાંત બે રાજ્યપાલ એવા છે, જેનો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થઈ ચુક્યો છે અને તેમનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. તેમાંથી પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. જો કે, આ દરમિયાન આ બંને રાજ્યમાં જરૂરથી ફેરફાર થયા છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલનો પણ બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે.
કોવિંદ બાદ રાજ્યપાલો પર નજર
પાંચ વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના સમયે જે રીતે બિહારના તત્કાલિન રાજ્યપાલ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, તેને જોઈને આ વખતે પણ એકાદ રાજ્યપાલના નામની અટકળ છે. જો કે, તે સમય દરમિયાન રાષ્ટ્રપતિ ચૂંટણી ઉપરાંત અલગ ફોર્મ્યુલા અપનાવે તેવા પણ સંકેત છે. જેનાથી સામાજિક સમીકરણો સાધવાની સાથે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે રાજકીય મેસેજ પણ આપવામાં આવશે.
યેદિયુરપ્પા, સીપી ઠાકુર અને ધૂમલ જેવા નામોની ચર્ચા
સૂત્રોના જણાવ્યા અનુસાર,, ભાજપમાં જે નેતાઓના નામ ભાવિ રાજ્યપાલો માટે ચાલી રહ્યા છે, તેમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા મુખ્ય છે. કર્ણાટકમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના દ્વારા ભાજપે રાજ્યના સૌથી મજબૂત મનાતા લિંગાયત સમુદાયને એક મોટો મેસેજ આપી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમલ અને બિહારના વરિષ્ઠ નેતા સીપી ઠાકુરનું નામ પણ ચર્ચામાં છે.