ઓબામાના શાસન દરમિયાન પણ રંગભેદના કારણે હિંસાખોરીની કેટલીક ઘટનાઓ બની હતી. રંગભેદની ભાવનાને તમામ સ્તરેથી નાબૂદ કરવાનું સરળ અને સહજ નથી એ ઓબામાને પણ શાસનમાં રહીને સમજાયું
અમેરિકન સમાજમાંથી રંગભેદની ભાવના સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી એ તથ્ય ત્યાંની ઘટનાઓ દ્વારા અવારનવાર ઉજાગર થતું રહ્યું છે. માનવાધિકાર અને વંશીય જાતિભેદના મુદ્દે વિશ્વની જમાદારી કરતા રહેલા અમેરિકાએ સૌપ્રથમ આવા ભેદભાવની નાબૂદીના પ્રશ્ને પોતાનો ચહેરો દર્પણમાં જોવાની જરૂર છે. આવા ભેદભાવને નાબૂદ કરવામાં દાયકાઓ વીતી જાય છે અને પેઢીઓ ચાલી જાય છે. સામાજિક પરિવર્તન એ અત્યંત મુશ્કેલ અને જટિલ બાબત છે. આવાં પરિવર્તન માત્ર કાયદાથી થતાં નથી. અશ્વેતો માટે સમાનતાની કાનૂની જોગવાઈઓ તો અમેરિકામાં પણ થયેલી છે અને આમ છતાં કાયદાની રખેવાળ એવી પોલીસના હાથે જ એક અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યા ખુલ્લેઆમ લોકોની નજર સામે થઈ એ શું સૂચવે છે? કાનૂની રક્ષા કરનાર પોલીસના દિમાગમાંથી રંગભેદની ભાવના દૂર કરી ન શકાઈ હોય તો એ અમેરિકન કાનૂનની સાથોસાથ અમેરિકન તંત્રની પણ નિષ્ફળતા છે. થોડાં વર્ષ પહેલાં અમેરિકાએ બરાક ઓબામાના રૂપમાં એક અશ્વેત નાગરિકને પ્રથમ વાર પોતાના પ્રમુખ તરીકે ચૂંટી કાઢીને વિશ્વને એવી પ્રતીતિ કરાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમેરિકામાં અશ્વેતો માટે પણ પ્રશાસનમાં સમાન અવસર ઉપલબ્ધ છે અને અમેરિકનો એક અશ્વેત નાગરિકને પોતાના નેતા તરીકે સ્વીકારી શકે છે. એ એક ઐતિહાસિક ઘટના હતી, પરંતુ તેનાથી પણ એવંુ તો પુરવાર ન જ થયું કે અમેરિકન સમાજમાંથી રંગભેદ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. ઓબામાના શાસન દરમિયાન પણ રંગભેદના કારણે હિંસાખોરીની કેટલીક ઘટનાઓ બની હતી. રંગભેદની ભાવનાને તમામ સ્તરેથી નાબૂદ કરવાનંુ સરળ અને સહજ નથી એ ઓબામાને પણ શાસનમાં રહીને સમજાયું.
જ્યોર્જ ફ્લોયડની હત્યાએ અમેરિકામાં અશ્વેત લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાત જન્માવ્યા. ઘટનાના ચોવીસ કલાકમાં અમેરિકામાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં. આગ અને ભાંગફોડ તેમજ લૂંટફાટની ઘટનાઓ બની. ચાર-પાંચ દિવસ સુધી એ ચાલતી રહી. તેની પાછળ એક સંગઠનનો હાથ હોવાનું પણ ખૂલ્યું. ટ્રમ્પ પ્રશાસને તોફાનો પાછળ ચીનનો હાથ હોવાનો આક્ષેપ પણ કર્યો. આવા આક્ષેપ પુરવાર કરવાનું શક્ય બનતું નથી એટલે એવું કહેવામાં આવ્યું કે અમેરિકા ભડકે બળ્યું તેનાથી ચીન ખુશ થયું છે. અમેરિકા અને ચીન અત્યારે જે રીતે સામસામે મોરચો માંડીને બેઠાં છે તેને જોતાં અમેરિકાનાં તોફાનોથી ચીન ખુશ ન થયું હોય તો પણ દુઃખી તો ન જ થયું હોય એ સ્વાભાવિક છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં અબ્રાહમ લિંકનનો કર્યો ઉલ્લેખ
એક અશ્વેત નાગરિકની હત્યાને ટ્રમ્પના વિરોધીઓ પ્રમુખપદની ચૂંટણીને લક્ષમાં રાખીને મોટો મુદ્દો બનાવવા ઇચ્છે. વિરોધ-દેખાવોને લાંબો સમય ચાલુ રાખવા પાછળનો એ પણ એક ઉદ્દેશ હોઈ શકે. ચૂંટણીનું રાજકારણ આખરે તો બધે સરખું જ હોય છે. કદાચ એટલે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન કરીને એવો દાવો કર્યો છે કે અબ્રાહમ લિંકન પછી મારા વહીવટીતંત્રએ અશ્વેત સમુદાય માટે સૌથી વધુ કામ કર્યાં છે. અશ્વેતોની કૉલેજ-યુનિવર્સિટી માટે ફંડની ગેરંટી આપી, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં સુધારા કરવા જેવી વાતો પણ તેમણે ગણાવી છે.
દેખાવકારો છેક વ્હાઈટ હાઉસની નજીક પહોંચ્યા
અશ્વેત નાગરિકની હત્યાના વિરોધમાં અમેરિકામાં જે પ્રકારના હિંસક દેખાવો થયા અને આ દેખાવકારો છેક વ્હાઈટ હાઉસની નજીક પહોંચી ગયા એ ઘટનાક્રમે ભારતમાં મોદી વિરોધી લોબીમાંના કેટલાક લોકોને ચાનક ચઢાવી એ એક મોટું આશ્ચર્ય છે. આવા લોકોએ તેમની મંશા છાની પણ ન રાખી અને કેટલાકે ટ્વિટ કરીને એવી ઇચ્છા વ્યક્ત કરી કે આવા દેખાવો ભારતમાં પણ થવા જોઈએ. અત્યારે કોરોના સંક્રમણના સંકટ અને લૉકડાઉનના પગલે સર્જાયેલ આર્થિક સ્થગિતતામાંથી બહાર નીકળવા માટે સરકાર અને તંત્ર પ્રયત્નશીલ છે ત્યારે આ મોદી વિરોધીઓ કોઈ કારણ વિના ભારતમાં હિંસક દેખાવોની હિમાયત કરી રહ્યા છે. તેમના દિમાગમાં કેવા શેતાની ખયાલો રમતા હશે તેની કલ્પના જ કરવી રહી. એક સમયે ભારતમાં કોઈ આંદોલનની ચીમકી ઉચ્ચારતું હતું તો પણ 'ગાંધી ચીંધ્યા માર્ગે....' એવા શબ્દ પ્રયોગો થતા હતા. હવે ખુલ્લેઆમ અકારણ હિંસક દેખાવોના ખ્યાલ વહેતા કરવામાં આવી રહ્યા છે. ભારતમાં કોઈ પણ કારણસર અરાજક માહોલ સર્જવા ઇચ્છતાં પરિબળો બેચેન છે અને તેઓ તેના માટે કોઈ પણ કારણ શોધી લે એ પણ શક્ય છે. સરકારે ચેતવા જેવું ખરું!