વિશ્વભરમાં એક તરફ કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો ભારત સરકાર દ્વારા દેશમાં ટેસ્ટિંગ,ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે ત્યારે કોરોનાને નાથવા માટેના અભિયાનમાં ભારતને વધુ એક મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.
ભારતને મળી વધુ એક મહત્વની સિદ્ધિ
કોવિડ સંક્રમણ મુક્ત કરતી આયુર્વેદિક દવા શોધાઇ
અમદાવાદમાં કરાયું છે હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલ
મળતા અહેવાલો પ્રમાણે અમદાવાદની 2 સરકારી હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલ હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલ્સમાં સૌપ્રથમ આયુર્વેદિક દવાને મોટી સફળતા મળી છે.
પ્રથમ આયુર્વેદીક દવા આયુધ એડવાન્સ
જણાવી દઇએ કે, આ દવાનું નામ આયુધ એડવાન્સ છે. જે કોરોનાના દર્દીઓને કોઇપણ પ્રકારની આડઅસર વગર સંક્રમણ ઘટાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ દવાના માત્ર 4 દિવસના ઉપયોગ બાદ કોરોનાના દર્દીમાં રહેલા ઇન્ફેક્શનમાં ઘટાડો નોંધાયો હતો અને ધીમે-ધીમે દર્દીઓ કોવિડ નેગેટિવ બન્યા હતા. દવાના ઉપયોગથી શરીરનું તાપમાન, ઉધરસ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણોમાં પણ રાહત જોવા મળી હતી.
રેમડેસિવિર કરતા ત્રણ ગણી અસરકારક
ટ્રાન્ઝિશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડેસિવિર કરતાં 3 ગણી વધુ અસરકારક હોવાની વાત કરી છે.
હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયો અહેવાલ
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વિશ્વના જાણીતા સાયન્સ અને આરોગ્ય વિષયક પ્રકાશન Contemporary Clinical Trials Communication માં પણ કહેવામાં આવ્યું હતું કે, કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં આયુધ એડવાન્સનું અસરકાર પરિણામ પ્રાપ્ત થયું છે. તો આ સંશોધન નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન પર પણ પ્રકાશિત થયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, અમેરિકન સરકારની વેબસાઇટ www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7948525/ પર આયુધ એડવાન્સ વિષયક જાણકારી આપવામાં આવી છે. તો આ દવાને રાજ્યના FDCA(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા આપવામાં આવી છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાઇસન્સ અપાયેલ છે.
અમદાવાદમાં કરાયું છે હ્યૂમન ક્લિનકલ ટ્રાયલ
ઉલ્લેખનીય છે કે, આ દવાનું પહેલું હ્યૂમન ક્લિનકલ ટ્રાયલ 2020ના ઓક્ટોબર માસમાં અમદાવાદની શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને SVPIMSR ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજી ક્લિનકલ ટ્રાયલ સોલા ખાતે આવેલ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કરવામાં આવેલ. જેમાં આ દવા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ પર અસરકાર સાબિત થઇ હતી.
જ્યાંથી વેક્સિનનું કામ પૂર્ણ થાય છે ત્યાંથી આયુધની કામગીરી થાય છે શરૂ : દીપ શુક્લ
જ્યારથી વેક્સિનનું કામ પૂર્ણ થાય છે ત્યાંથી આયુધ એડવાન્સ કામગીરી શરૂ થતી હોવાની વાત આયુધ એડવાન્સના ફાઉન્ડર અને શુક્લા આશર ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડના દીપ શુક્લાએ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકારના વાયરસના સ્ટ્રેન્સ સામે એન્ટિબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જોકે એનાથી રોગ સામે 100 ટકા રક્ષણ મળતું નથી.