જામનગરના ચાંદીબજારમાં રહેતા ભરત જેઠાલાલ બોસમિયાને ઘર નજીક જ રખડતા ઢોરે શિંગડું મારી પાડી દીધા હતા.
જામનગરમાં રખડતાં ઢોરે વૃદ્ધને ખૂંદયા
સારવાર થાય તે પહેલા જ વૃદ્ધનું કમકમાટી ભર્યું મોત
જીવ ગયો જવાબદાર કોણ તંત્ર કે ઢોરનો માલિક?
જામનગરમાં દિવસેને દિવસે રખડતાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. પણ મહાનગરપાલિકાને આ મામલે આંખ આડા કાન કરી રહી છે. આજે બનેલી ઘટના તેની સાક્ષી પૂરે છે. એક વૃદ્ધાને રખડતાં ઢોરે અડફેટે લીધા હતા. બાદમાં જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી વૃદ્ધાને શિંગડે ચડાવ્યા હતા.
રખડતાં ઢોરે લીધો વૃદ્ધનો જીવ
સમગ્ર ઘટનાના સીસીટીવી કાળજું કંપાવી દે તેવા છે. જામનગર શહેરના ચાંદીબજાર પાસે આવેલા વાણિયાવડ વિસ્તારમાં વૃદ્ધ ઘરેથી નીકળ્યા હતા જે બાદ ઢોરે તેમણે શિંગડેથી ભેટી મારી પાડી દીધા હતા. ગાય વૃદ્ધને ત્યાં સુધી ખૂંદતી રહી હતી જ્યાં સુધી વૃદ્ધ બેભાન ન થયા. ઘટનાને જોતાં આસપાસના લોકો પણ બૂમરાડ કરી રહ્યા હતા પણ ગાય એટલી આક્રમક હતી કે કોઈ બચાવવા સુધ્ધાં પણ તેની પાસે જઈ શકતું ન હતું. બાદમાં બેભાન પડેલા વૃદ્ધાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલા જ વૃદ્ધે જીવ છોડી દીધો હતો.
અન્ય 2 વ્યકિતઓને પણ ઈજાઓ પહોંચાડી
રખડતાં ઢોરને આંતક અહી ન રોકતા આ વૃધ્ધ સિવાય અન્ય 1-2 લોકોને પણ આ ઢોરે ગંભીર ઈજાઓ પહોંચાડી છે. પણ જામનગરમાં ઢોરોનું રાજ યથાવત છે. તંત્ર કાર્યવાહીના નામે માત્ર નાટકો કરી લોકોને આમ જ રખડતાં ઢોરનો ભોગ બનાવી રહી છે. અહી મોટો સવાલ એ છે કે વૃદ્ધને ઢોરને કારણે જીવ ખોવાનો વારો આવ્યો તો જવાબદાર કોણ?
VTV ગુજરાતીના સળગતા સવાલ
શું તંત્ર માટે લોકોના જીવની કોઈ કિંમત નથી? કેમ શહેરોમાંથી રખડતા ઢોરને ત્રાસ દૂર ન થયો? કોણ રસ્તાઓ પર ઢોરને છુટ્ટા મૂકી દે છે? શું માત્ર રૂપિયા પડાવવા માટે જ ઢોર પકડવાની કાર્યવાહી થાય છે? લોકોના હાથ-પગ ભાંગે છે તેના માટે કોણ જવાબદાર છે? માત્ર કાયદાઓ લાવવાની વાતો કરી લોકોની ભાવનાઓ સાથે શું લેવા રમત કરો છો? રખડતા ઢોરનો ત્રાસ ન અટકાવી શકો તો લોકોને મુર્ખ તો ન બનાવો? સવાલો અનેક છે પણ જવાબ એક જ છે કાર્યવાહીના નામે માત્ર દેખાડો કેમ?