વડોદરાની જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે.
વડોદરાની જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે થયાં મોત
5 ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
CM ભૂપેન્દ્ર પટેલે સહાયની કરી જાહેરાત
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જરોદ ચોકડી આજે સવારે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના પર CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું છે કે,'વડોદરાના જરોદ પાસે થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે.
જરોદ ચોકડી પાસે નડ્યો અકસ્માત
આ અકસ્માત અંગે વિગતવાર વાત કરીએ તો મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન અને પાવાગઢ દર્શન કરીને સુરત પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જરોદ ચોકડી પાસે તેમની કાર કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી. આ સમયે કારમાં બેઠેલા રઘાજી કિશોરજી કલાલ (ઉ.65), (રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત), રોશન રઘાજી કલાલ (ઉ.40), (રહે. ખોડિયારનગર, પલસાણા, સુરત), પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35), (રહે. ખોડિયારનગર,પલસાણા, સુરત), અને રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08)ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને NDRFની ટીમે કારમાં સવાર ઈજાગ્રસ્તો કારમાંથી બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.