સાઉદી અરેબિયાના પુરાતત્વવિદોની એક ટીમે નવી ટેક્નોલોજી મશીનો વડે અલ-ફાના સ્થળે આ ધાર્મિક કેન્દ્રને શોધી કાઢ્યું
સાઉદી અરબમાં મળ્યું 8000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર
પુરાતત્વવિદોની ટીમે નવી ટેક્નોલોજી વડે ધાર્મિક કેન્દ્રને શોધી કાઢ્યું
સર્વેની કામગીરીમાં થયો મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં 8000 વર્ષ જૂનું એક ધાર્મિક સ્થળ અને મંદિર મળી આવ્યું છે.આ ઐતિહાસિક મંદિરના શિલાલેખો અને ઘણા શિલાલેખો રિયાધના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત દરિયાકાંઠાના શહેરની ખોદકામમાં મળી આવ્યા છે. સાઉદી અરેબિયાના પુરાતત્વવિદોની એક ટીમે નવી ટેક્નોલોજી મશીનો વડે અલ-ફાના સ્થળે આ ધાર્મિક કેન્દ્રને શોધી કાઢ્યું છે. આ સંશોધનમાં મળેલા અવશેષોને અદ્યતન અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ શોધમાં ઉચ્ચ ગુણવત્તાની એરિયલ ફોટોગ્રાફી, કંટ્રોલ પોઈન્ટ સાથેના ડ્રોન ફૂટેજ, રિમોટ સેન્સિંગ, લેસર સેન્સિંગ અને અન્ય ઘણા સર્વેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
'સાઉદી ગેઝેટ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર અલ-ફાનો આ મહત્વપૂર્ણ વિસ્તાર છેલ્લા 40 વર્ષથી પુરાતત્વ વિભાગના લોકો માટે હોટ સ્પોટ રહ્યો છે. સર્વેક્ષણ સ્થળ પર અનેક શોધોની સાથે સૌથી મહત્વની શોધ એ છે કે, આ મંદિરને તોડી પાડવામાં આવેલા પરિસરમાંથી વેદીના ભાગોના અવશેષો પણ મળી આવ્યા છે. આ બતાવે છે કે, તે સમયે અહીં એવા લોકો રહેતા હતા, જેમના જીવનમાં પૂજા અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓનું ઘણું મહત્વ રહ્યું હશે. આ મંદિરનું નામ તુવૈક પર્વતની બાજુમાં આવેલું પથ્થર કાપેલું મંદિર કહેવામાં આવી રહ્યું છે, જે હવે અલ-ફા તરીકે ઓળખાય છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર અલ-ફાના લોકો ખૂબ જ ધાર્મિક હતા. ખોદકામમાં એક શિલાલેખ મળી આવ્યો હતો, જે અલ-ફા કાહલના દેવતાના અસ્તિત્વની પુષ્ટિ કરે છે.
આ સ્થળ પર એક પ્રાચીન મોટા શહેરની શોધ થઈ છે, જેના પર કેટલાક ટાવર બનાવવામાં આવ્યા છે. આ સંશોધન દરમ્યાન નહેરો, જળાશયો અને વિશ્વની સૌથી સૂકી જમીન અને કઠોર રણના વાતાવરણમાં સેંકડો ખાડાઓ સહિત પ્રદેશમાં જટિલ સિંચાઈ પ્રણાલીઓ બહાર આવી છે. અહીંના અગાઉના સંશોધનના અહેવાલ મુજબ હજારો વર્ષો પહેલાથી આ વિસ્તારમાં મંદિર અને મૂર્તિ પૂજાની સંસ્કૃતિ છે. અહીં ખોદકામમાં મળેલા શિલાલેખોનો અભ્યાસ ચાલુ છે. નવી ટેકનોલોજીએ નિયોલિથિક માનવ વસાહતોના અવશેષો વિશે ઘણી માહિતી જાહેર કરી છે. આ સાઇટ પર નવા સંશોધન દરમિયાન આ મંદિરની ખૂબ નજીક 2,807 કબરો પણ બહાર આવી છે. મૃતક કયા ધર્મના છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં મળી આવેલી કબરો અલગ-અલગ સમયની છે.