કેન્દ્રમાં બીજી વખત ભાજપની સત્તા આવ્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમિત સાહ જમ્મૂ-કાશ્મીરની મુલાકાતે જઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અમિત શાહ 26 જૂનથી જમ્મૂ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે જાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમિત શાહ 30 જૂનના રોજ એક દિવસ કાશ્મીર ઘાટી જવાના હતા તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા. અમિત શાહ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત દરમિયાન અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇને સમીક્ષા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપની ગઠબંધન સરકાર પડ્યા બાદ રાજ્યપાલ શાસન છે.
અમિત શાહની મુલાકાત અગાઉ જમ્મૂ-કાશ્મીરમાં હોમ મિનિસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારી રાજ્યની સુરક્ષાને લઇને સમીક્ષા કરશે. અમિત શાહના જમ્મૂ-કાશ્મીરના પ્રવાસને લઇને સૂત્રોને મળતી માહિતી મુજબ કેન્દ્રીય બજેટના સંબંધમાં કેન્દ્રીય ગૃહપ્રધાનની વ્યસ્તતાના કારણે આ મુલાકાત પહેલા કરવામાં આવી રહી છે.
આ દરમિયાન અમિત શાહ શ્રીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરશે. આ દરમિયાન અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પંચાયતના સભ્યોને સંબોધન પણ કરે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ જમ્મૂ-કાશ્મીરની મુલાકાત દરમિયાન રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
તેમની સાથે રાજ્યની વર્તમાન સુરક્ષા સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરશે. જો કે સૂત્રોને મળતા અહેવાલ મુજબ અમિત શાહ અમરનાથ તીર્થ સ્થળ પર જઇ પુજા કરે તેવી સંભાવના છે. દેશના ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહનો આ પ્રથમ જમ્મૂ-કાશ્મીર પ્રવાસ હશે. જો કે આ દરમિયાન અમિત શાહ જમ્મૂ અને લદ્દાખ વિસ્તારની મુલાકાત કરશે નહીં