એગ્ઝિટ પોલના સંકેતો બાદ દિલ્લીની રાજકીય ગલીઓથી લઇને દલાલ સ્ટ્રીટ સુધી ગરમાવો જોવા મળી રહ્યો છે. સરકાર બનાવવાને લઇને ભાજપ પોતાનો ગઢ વધુ મજબૂત બનાવવાની તૈયારીઓમાં લાગી ગઇ છે. જો કે વિપક્ષદળોએ પણ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા બાદ મહાગઠબંધનને લઇને પોતાના હથિયાર મુકી દીધા નથી.
લોકસભા ચૂંટણીમાં 300થી વધારે સીટની આશા સાથે ભાજપે એનડીએને વધુ મજબૂત કરવા તેમજ આગામી સરકારના ગઠનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજરોજ દિલ્લી ખાતે એનડીએના ઘટક દળોની બેઠક બોલાવી છે. આ સાથેજ ભાજપ, બીજેડી, ટીઆરએસ અને વાઇએસઆર કોંગ્રેસના સંપર્કમાં છે.
જરૂરિયા પડવા પર તેમનો સહયોગ લેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. અમિત શાહે એનડીએના દિગ્ગજ નેતાઓ સાથે રાત્રી ભોજનનું આયોજન પણ કર્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
એગ્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ ફરી એકવાર કેન્દ્રમાં સત્તા બનાવવા જઈ રહી છે. જેમાં ભાજપ સમર્થિત NDAને 300થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. કેન્દ્રમાં ફરીથી સત્તા પર આવવાની સંભાવનાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે NDA નેતાઓની બેઠક બોલાવી છે.
અમિત શાહે NDA નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું છે. આ સાથે જ ડિનર પાર્ટી બાદ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ અમિત શાહ બેઠક કરશે. આ બેઠકનો એજન્ડા સ્પષ્ટ થયો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે એગ્ઝિટ પોલના આંકડા મામલે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.