દેશના ઈતિહાસમાં 72 વર્ષ બાદ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવાઈ છે. આ સાથે લદાખ અને જમ્મૂ કાશ્મીરને અલગ રાજ્ય બનાવી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. રાજ્યસભામાં અમિત શાહે રજૂ કરેલાં આ અંગેના સંકલ્પ પત્રને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની પરિસ્થિતિને લઇને રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. અમિત શાહે કલમ-370 હટાવવા રાજ્યસભામાં પ્રસ્તાવ મુક્યો હતો. જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવવા સંકલ્પ રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. જો કે અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષો દ્વારા હોબાળો કરવામાં આવ્યો.
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. ભારતે કાશ્મીર પર પોતાનો વાયદો ન નિભાવ્યો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એ આદેશ જેને કાશ્મીરમાંથી હટાવી કલમ-370
જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મૂ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. આ સાથે ઘાટીમાંથી 370 દ્વારા મળતો વિશેષાધિકાર હવે નહીં મળે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. આમ હવે લદ્દાખ હવે એક અલગ કેન્દ્રશાસિત રાજ્ય હશે.
બસપાએ પ્રસ્તાવને આપ્યું સમર્થન
જમ્મૂ-કાશ્મીર આરક્ષણ અને પૂનર્ગઠન બિલને બસપાએ સમર્થન આપ્યું છે. સપાના રામગોપાલે તેને ગેરબંધારણીય બતાવતાં કહ્યું કે જો તમે બે ભાગમાં અલગ કરો છો તો જમ્મૂ-કાશ્મીરમાં આરક્ષણ કેવી લાગુ થશે. કોંગ્રેસ અને ટીએમસી આ બિલના વિરોધમાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કાશ્મીર મામલે તમામ સવાલોના જવાબ આપીશ. જો કે અમિત શાહના નિવેદન બાદ રાજ્યસભામાં હોબાળો જોવા મળ્યો હતો. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તમામ રાજ્યોને સુરક્ષાને લઇને એલર્ટ આપવામાં આવ્યું હતું. બેઠક બાદ જણાવામાં આવ્યું હતું કે અમિત શાહ કાશ્મીર મુદ્દાને લઇને રાજ્યસભા અને લોકસભામાં જવાબ આપશે. આ અગાઉ પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડાભોલ સાથે મુલાકાત કરી હતી.